કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર રહેશે કે જશે, તેના પર તમામની નજરો લાગેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું નાટક રાજ્યમાં જોર પકડી રહ્યું છે. વિધાનસભાના સ્પીકરે પહેલાં વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો હતો, પણ સાંજ થતાં થતાં સદનને એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી. તેના પર બીજેપી ભડકી ગઈ હતી.
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમાર અને મુખ્યમંત્રી કુમારસ્વામીને પત્ર લખીને કહ્યું કે, તે શુક્રવારે બપોરે 1.30 વાગ્યા સુધીમાં સદનમાં બહુમત સાબિત કરે.
બીજેપીએ માગ કરી કે ફ્લોર ટેસ્ટ આજે જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે, તે ગુરુવારે જ વિશ્વાસમત હાંસલ કરવા પર વિચાર કરે. પણ સ્પીકરે સદનને એક દિવસ માટે સ્થગિત કરી દીધું હતું. જે બાદ બીજેપીના નેતા યેદિયુરપ્પાએ કહ્યું કે, બીજેપીનાં ધારાસભ્યો આખી રાત સદનમાં સૂઈ જઈને ધરણાનો કાર્યક્રમ આપશે.
જે બાદ બીજેપીના ધારાસભ્ય પ્રભુ ચૌહાણ ચાદર અને ઓશિકું લઈને વિધાનસભા પહોંચ્યા હતા.

