લોકસભામાં આજે મોટર વ્હીકલ સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો હતો જેનો હેતુ ભ્રષ્ટાચાર ડામવા, માર્ગ સલામતીમાં સુધારો કરવા અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા ભાર મૂકશે. જો કે વિપક્ષોએ સરકાર પર રાજ્યોના અધિકારો છિનવી લેવાનો આરોપ મૂક્યો હતો. ધ્વની મતથી મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બિલ 2019 પાસ કરવામાં આવ્યો હતો. વિપક્ષો દ્વારા કરાયેલા કેટલાક સુચનોને ધ્વની મતમાં ફગાવી દેવાયા હતા.
વાહન વ્યવહાર અને હાઇ વે મંત્રી નીતીન ગડકરીએ કહ્યું હતું કે તેઓ કોઇ સપના દેખાડવા ઇચ્છતા નથી, બલકે સરળ,આધુનિક વાહન વ્યવહાર અને વધુ સારી ટેકનોલોજી માટે આપેલા વચનને પુરા કરવાના પ્રયાસ છે. લોકસભામાં ડીએમકેના નેતા કનીમોઝીએ ખરડાનો વિરોધ કરતાં કહ્યું હતું કે વાહન વ્યવહાર મંત્રી ભલે એમ કહેતા હોય કે અમલ કરવાનો અધિકાર રાજ્યોનો છે, પરંતુ માત્ર આટલું પુરતુ નથી કારણ કે સરકાર અને મંત્રીઓ તો બદલાતા રહેશે, ત્યારે શુ થશે. ખરડાના સલામતી અને વાહન વ્યવહાર ભંગના કેટલાક પાસાઓને વિપક્ષોએ પણ ટેકો આપ્યો હતો, પરંતુ તો સાથે સાથે તેમણે કેન્દ્ર પર રાજ્યોના અધિકાર છીનવી લેવાના પણ આરોપ કર્યા હતા. ખરડામાં કેટલીક જોગવાઇઓનો તેમણે વિરોધ કર્યો હતો. ગડકરીએ કહ્યું હતું કે સરકારનો ઇરાદો રાજ્યોના અધિકાર છીનવાનો નથી. સામાન અને મુસાફરોના આવન જાવન અંગે માર્ગદર્શિકા માટે એક પોલીસી બનાવવાનો દાવો કર્યો હતો. જો કે તેમણે કહ્યું હતું કે રાજ્યો સાથે મસલત કર્યા પછી જ નવા કાયદાઓને અંતિમ સ્વરૂપ અપાશે.

