અમદાવાદમાં આશ્રમ રોડ પર રિવરફ્રન્ટ ઉપર રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની બી-2 વોર્ડની પીઓપીની છત તૂટી પડી છે. નવ નિર્મિત હોસ્પિટલની છત તૂટતાં દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની અદ્યતન સગવડો ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શુક્રવારે એકાએક હોસ્પિટલની છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ ઉઘાડી પડી ગઈ છે. પ્રથમ વરસાદમાં જ તંત્રના દાવા પોકળ સાબિત થયા છે.