ગુજરાત પ્રદેશ ભાજપમાં આમૂલ પરિવર્તનના એંધાણ દેખાઇ રહ્યાં છે. પારાવારિક પ્રસંગે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રદેશ ભાજપના નેતાઓ સાથે સંગઠનને મુદ્દે ચર્ચા કરી શકે છે. સંગઠન પર્વ પૂર્ણ થતાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ જશે. આગામી નવેમ્બર માસના અંત સુધીમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઇ શકે છે.
અમદાવાદની મુલાકાતે આવેલા અમિત શાહ રાજકીય સોગઠાં પણ ગોઠવશે કેમ કે, આગામી દિવસોમાં વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત ભાજપનુ સંગઠને ય સલામત નથી જેને લઇને અમિત શાહ ભારોભાર નારાજ છે. સાથેસાથે જીતુ વાઘાણીએ ખુદ જ ગૃહમંત્રી બનવા ઇચ્છા વ્યક્ત કરી છે જેને પગલે ય અમિત શાહ નારાજ છે.અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યુ છે જે પૂર્ણ થતાં જ હાઇકમાન્ડ ગુજરાત ભાજપની બાગડોર કોને સોંપવી તે નામ જાહેર કરી શકે છે. અમિત શાહ સંગઠનના મામલે ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરી શકે છે. કયા રાજકીય સમીકરણો સાથે આગળ વધવુ તે અંગે માર્ગદર્શન આપશે. ભાજપના સૂત્રો કહે છેકે, જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે.હવે વાઘાણીને સંગઠનમાં નહી પણ સરકારમાં રસ જાગ્યો છે. વાઘાણીને ગૃહમંત્રી બનવાનો અભરખો જાગ્યો છે પણ અમિત શાહ નારાજ છે. આ જોતા જીતુ વાઘાણીને મંત્રીપદ જ નહીં,પ્રદેશ પ્રમુખપદ ગુમાવવુ પડે તો નવાઇ નહી. જો વાઘાણીને રિપિટ નહી કરાય તો, ઓબાસી અથવા ક્ષત્રિય નેતાને ભાજપ પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ગત વખતે ચૂંટણીમાં ક્ષત્રિય-ઓબીસી મતદારોએ ભાજપથી અંતર રાખ્યુ હતુ એટલે આ વખતે જ્ઞાાતિને સંગઠનમાં મહત્વ આપવા વિચારાઇ રહ્યુ છે.
અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે ભાજપના સંગઠનમાં મહત્વના હોદ્દા મેળવવા ય લાઇન લાગી છે. ઉચ્ચ હોદ્દા મેળવવા ઘણાં યુવા નેતાઓએ મેદાને પડયાં છે. અમિત શાહ બોર્ડ નિગમમાં કોની નિમણૂંકો કરવી તે મુદદે ય વિચારણા કરશે. આ યાદીને ય આખરી ઓપ આપી ેદેવાયો છે માત્ર અમિત શાહની લીલીઝંડીની રાહ જોવાઇ રહી છે. આમ, અમિત શાહ ભાજપના નેતાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી શકે છે.

