ગુજરાતનું 64,000 કરોડનું લેખાનુદાન બજેટ

ગુજરાત મુખ્ય સમાચાર

લોકસભાની આગામી મે મહિના પૂર્વે આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો અને અન્ય વર્ગની પ્રજાને રીતસર મત માટે રીઝવતું લેખાનુદાન બજેટ ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું. મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ ૧૫ લાખ પરિવારોને વધારાના લાભ આપવા ઉપરાંત તેમણે વિધવાઓને આજીવન પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. વિધવાઓને અપાતું રૂા. ૧૦૦૦નું પેન્શન વધારીને રૂા. ૧૨૫૦ કરવાનો નિર્ણય કર્યો છે. તેમ જ વૃદ્ધોને આપવામાં આવતું પેન્શન રૂા. ૫૦૦થી વધારીને રૂા. ૭૫૦ કરવાનો નિર્ણય કર્યો છે. સવા બે લાખ વિધવાઓને આ પેન્શનમાં વધારો અને આજીવન પેન્શન આપવાના  નિર્ણયને કારણે ગુજરાત સરકાર પર રૂા.૩૪૯ કરોડનો વધારાનો ખર્ચબોજ આવશે. ૨૦૧૯-૨૦ના વાર્ષિક રૂા. ૧,૯૧,૮૧૭ કરોડના કદનું અને ચાર માસના રૂા. ૬૩,૯૩૯ કરોડનું લેખાનુદાન બજેટમાં આજે ગૃહમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં ૨૦૧૯-૨૦ દરમિયાન રૂા. ૧,૫૪,૮૮૫ કરોડની મહેસૂલી આવકનો અંદાજ છે અને વાર્ષિક રૂા. ૧,૪૫,૦૨૨.૪૦ કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.