નાસિકની સભામાં કરાઈ એવી તૈયારી કે વરસાદ પડે તો પણ પ્રધાનમંત્રીની સભાને ઉણી આંચ નહીં આવે

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગત પાંચ વર્ષમાં સરકારે કરેલી ઉપલબ્ધીઓને જનતા સુધી પહોંચાડવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરેલી મહાજનાદેશ યાત્રાની ત્રીજા તબક્કાનું સમાપન આવતીકાલે ગુરુવાર તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. અને તપોવનમાં જાહેરસભા વડા પ્રધાન સંબોધવાના છે. આથી નાશિકના રસ્તા સાફ સુથરા, અને ખાડાથી મુક્ત કરાયા છે. તેમજ પાકો પોલીસ બંદોબસ્ત તહેનાત કરાયો છે. આ ઉપરાંત વરસાદની આગાહી હોવાથી ૧૨ વોટરપ્રૂફ મંડપ ઊભા કરાયા છે. આ સિવાય ગોદાવરી નદી છલોછલ ભરાયેલી તેમજ પી.એમની સુરક્ષાના આડમાં ગોદાવરીની આરતી વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહિ કરે એવું જાણવા મળ્યું છે.

નાશિકના રસ્તાઓ પર પડેલા ખાડા તાકીદે ભરીને રસ્તો સમથળ કરવાનું, તેમજ રસ્તાઓને સાફ સુથરા કરવાનો આદેશ મેયર રંજના ભાણસીએ આપ્યો હતો. આથી નાશિક મહાનગર પાલિકાએ રસ્તાને સાફ સુથરા અને ખાડા પૂરી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આવતીકાલે વરસાદની આગાહી હોવાના પગલે તપોવનમાં ૨૦ એકરની જમીન પર યોજાનારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ સભામાં વિક્ષેપ ન પડે તેને ધ્યાનમાં રાખીને ત્યાં ૧૨ વોટરપ્રૂફ ધરાવતા મંડપ બાંધવામાં આવ્યા છે. અહી આશરે ત્રણ લાખથી વધુ જનસમુદાય ઉપસ્થિત રહેશે એવું કહેવામાં આવે છે.સભા સ્થળે ૫૦ એલ.ઇ.ડી. સ્ક્રીન ગોઠવવામાં આવી રહ્યા છે. રસ્તાઓ પરની લાઇટો પણ સુધારી દેવાઇ છે. વૃક્ષોની છાંટણી સુદ્ધા કરવામાં આવી રહી છે. નાશિકમાં બાઇક રેલી પણ યોજાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સમાપન સમારંભ વખતે નાશિકની પ્રસિદ્ધ ગોદાવરી કાંઠે ગોદાવરીની આરતી કરવાના હતા. પરંતુ કાશ્મીરની કલમ ૩૭૦ રદ કર્યા બાદ નરેન્દ્ર મોદીની સુરક્ષાની વ્યવસ્થામાં મોટા પ્રમાણમાં વધારો કરાયો છે. આથી ગોદાવરીની આરતીની પ્રસ્તાવિત સુરક્ષાનું કારણ આગળ ધરીને પી.એમ.ઓ. ઓફિસે ના મંજૂર કર્યો છે. નરેદ્ર મોદી સભા તપોવનમાં ૩ વાગે થશે. આ સિવાય કોઇપણ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત નહીં રહે.આ સિવાય ગંગાપુર ડેમમાંથી પાણી છોડયા હોવાથી ગોદાવરી બે કાંઠે વહી રહી છે. તેના કારણે પણ નરેન્દ્ર મોદી ગોદાવરી કાંઠે જઇને આરતી નહિ કરે એવું પણ કહેવાય છે.

નરેન્દ્ર મોદીની જાહેર સભા હોવાથી સભા સ્થળના પરિસરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. તેમજ આ સિવાય જાહેર સભાનો વિસ્તાર એસ.પી.જી.એ પોતાના હસ્તક લઇ લીધો છે. સમગ્ર વિસ્તારને એસ.પી.જી.એ ઘેરો કરી દીધો છે, એવું જાણવા મળ્યું છે.દરમિયાન, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શરૂ કરેલી મહાજનાદેશ યાત્રા આજે નાશિક આવી પહોંચી છે. નાશિકના પાલકપ્રધાન ગિરીશ મહાજન આ યાત્રાનું સ્વાગત કરીને એમાં સામેલ થયા છે. તેમજ વડા પ્રધાન મોદીના આવતી કાલના સમગ્ર કાર્યક્રમ માટેની જડબેસલાક તૈયારી પૂર્ણ કરી છે.