પૂર્વ ભારતીય કપ્તાન કપિલ દેવે બુધવારે ક્રિકેટ એડવાઈઝરી કમિટી (CAC)ના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડિકે જૈને હિતોના ટકરાવ મામલે ક્રિકેટ એડવાઈઝરી કમિટીને નોટિસ મોકલી હતી. કપિલે નોટિસ મેળવ્યા પછી આ નિર્ણય લીધો છે. તેની પહેલા CACના શાંતા રંગાસ્વામીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપ્યું હતું. જૈને સમિતિના સદસ્યો પાસેથી 10 ઓક્ટોબર સુધીમાં જવાબ માગ્યો હતો.
કપિલ દેવે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સના પ્રમુખ વિનોદ રાય અને બોર્ડના સીઈઓ રાહુલ જોહરીને પોતાનું રાજીનામુ આપ્યું હતું. તેણે લખ્યું કે, CACનો ભાગ બનવો ખુશીની વાત હતી. મેન્સ ક્રિકેટ ટીમ માટે કોચની પસંદગી ખાસ વતી હતી. મેં તાત્કાલિક ધોરણે રાજીનામુ આપી દીધું છે.
CACએ શાસ્ત્રીને કોચ બનાવ્યો હતો
CACએ ગયા મહિને રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાનો હેડ કોચ બનાવ્યો હતો. CACમાં કપિલ દેવ અને શાંતા રંગાસ્વામી ઉપરાંત અંશુમાન ગાયકવાડ પણ હતા. CACને નોટિસ મળી હોવાથી શાસ્ત્રીની નિયુક્તિની પણ તપાસ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે બીસીસીઆઈને ફરી એકવાર કોચ પસંદગી માટેની પ્રોસેસ ચાલુ કરવી પડશે. શાસ્ત્રીનો કાર્યકાળ 2021 સુધીનો છે.
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશના સંજવી ગુપ્તાએ ફરિયાદ કરી
મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશના સદસ્ય સંજીવ ગુપ્તાએ CAC વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેણે કહ્યું હતું કે, કોચ સિલેક્ટ કરનાર કમિટીએ એક સાથે એકથી વધુ ભૂમિકા નિભાવી હતી. કપિલ દેવ કોમેન્ટેટર, એક ફ્લડલાઈટ કંપનીનો માલિક અને ભારતીય ક્રિકેટ સંઘનો સદસ્ય છે. ગાયકવાડ એક એકેડમીના માલિક હોવાની સાથે CACના સદસ્ય પણ હતા. જયારે શાંતા રંગાસ્વામી CACની સાથે ઇન્ડિયન ક્રિકેટર્સ એસોસિયેશનમાં પણ શામેલ છે.

