PM મોદીએ તમિળ પહેરવેશ પહેરીને જિનપિંગનું સ્વાગત કર્યું, ડિનરમાં ચીનના રાષ્ટ્રપતિને દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે બીજી અનૈપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે મહાબલીપુરમ પહોંચ્યા હતા. મોદી અહીં ચીનના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પારંપરિક તમિળ પહેરવેશમાં પહોંચ્યા હતા. તેમણે મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું અને અનૈપચારિક વાતચીત શરૂ કરી. મહાબલીપુરમમા સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું હતું. જિનપિંગને ડિનરમાં પારંપરિક દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. તેમાં અર્ચુ વિટ્ટા સાંભર, થક્કાલી રસમ, કડાલાઈ કોરમા અને હલવો હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનઔપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે 2 વાગે ચેન્નાઈ પહોંચી ગયા હતા. અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જિનપિંગ સાંજે 5 વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ જે ડ્રેસ પહેર્યો હતો તેને ‘વેશ્ટી’ કહેવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન આજે જે ભારતીય વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે 40 મિનિટ સુધી વન ટુ વન મીટિંગ પણ થશે.

ભારત-ચીન વચ્ચે આ વખતે ઈન્ફોર્મલ સમિટ તમિલનાડુના મહાબલીપુરમાં થઈ રહી છે. અહીં વડાપ્રધાન મોદી શી જિંનપિંગ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન ઘણાં મહત્વના મુદ્દાઓ વિશે વાતચીત કરવામાં આવશે. ચીની રાષ્ટ્રપતિની આ 48 કલાકની મુલાકાત છે. જોકે આ ઈન્ફોર્મલ સમિટ હોવાથી આ મુલાકાત દરમિયાન કોઈ કરાર કરવામાં આવશે નહીં અને કોઈ જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપવામાં આવશે નહીં.

મોદીએ કહ્યું- ભારત-ચીનના સંબંધો મજબૂત થશે

વડાપ્રધાન મોદીએ આ મુલાકાત વિશે કહ્યું છે કે, આગામી સમયમાં ભારત અને ચીનના સંબંધો મજબૂત થશે. તમિલનાડુના મહાબલીપુરમમાં શુક્રવારે અને શનિવારે બંને નેતાઓની મુલાકાત થશે. તે સાથે જ ચેન્નાઈના ઐતિહાસીક મહાબલીપુરમમાં તેઓ ઘણાં સાસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સામેલ થશે. ચેન્નાઈથી મહાબલીપુરમ સુધી 5 હજાર જવાન તહેનાત કરવામાં આવ્યા છે. રસ્તા અને કાર્યક્રમ સ્થળ પર 800 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ભારતીય નૌસેના અને તટરક્ષક બળે દરિયા કિનારાથી થોડે દૂર યુદ્ધ સબમરીન તહેનાત કરી છે.

મોદીએ ચીની ભાષામાં ટ્વિટ કર્યું
શી જિનપિંગ ભારત પહોંચે તે પહેલાં વડાપ્રધાન મોદી ચેન્નાઈ પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદીએ ત્રણ ભાષામાં ટ્વિટ કર્યું છે. પીએમએ ચીની, તમિલ અને અંગ્રેજીમાં ટ્વિટ કરીને અહીં પહોંચ્યાની ખુશી વ્યક્ત કરી છે. તે સાથે જ તેમણે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું સ્વાગત પણ કર્યું છે.

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાનનો સંપૂર્ણ કાર્યક્રમ

11. ઓક્ટોબર

12.30 PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન
12.55 PM: મહાબલીપુરમ એરપોર્ટ પર હેલિકોપ્ટર દ્વારા વડાપ્રધાન પહોંચશે
01.30 PM: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનું ચેન્નાઈ એરપોર્ટ પર આગમન, એરપોર્ટ પર ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત, આ દરમિયાન એરપોર્ટ પર અન્ય કોઈ ફ્લાઈટ નહીં ઉડાન ભરે.
01.45 PM: ચીની રાષ્ટ્રપતિ એરપોર્ટથી હોટલ ITC ગ્રાન્ડ માટે રવાના થશે. થોડી વાર આરામ કર્યા પછી જિનપિંગ મહાબલીપુરમ માટે રવાના થશે.
05.00 PM: મહાબલીપુરમ પહોંચીને અર્જુન તપસ્યાની સ્થળ, પંચરથ, મલ્લમપુરમ શોરેના મંદિરનું મુલાકાત કરશે, આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ જિનપિંગની સાથે રહેશે
06.00 PM: સાંસ્કૃતિક કાર્યક્રમ
06.45થી 8.00 PM: વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ડિનર કરશે

12 ઓક્ટોબરનો કાર્યક્રમ (શનિવાર)
10.00થી 10.40 AM: ચીની રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની મુલાકાત
10.50થી 11.40 AM: ભારત-ચીન વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત
11.45AM થી 12.45 PM: ચીની રાષ્ટ્રપતિના સન્માનમાં લંચની વ્યવસ્થા
02.00 PM: વડાપ્રધાન મોદી દિલ્હી આવવા રવાના થશે અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચીન માટે રવાના થશે

ચીનનો મહાબલીપુરમ સાથે ઐતિહાસિક સંબંધ
તમિલનાડુમાં બંગાળની ખાડીના કાંઠે આવેલા મહાબલીપુરમ શહેર ચેન્નાઈથી અંદાજે 60 કિમી દૂર છે. પુરાતત્વવિદ એસ રાજાવેલુના જણાવ્યા પ્રમાણે, તેની સ્થાપના ધાર્મિક ઉદ્દેશોથી 7મી સદીમાં પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મને કરાવી હતી. નરસિંહે મામલ્લની ઉપાધિ ઘારણ કરી હતી, એટલા માટે જ તેને મામલ્લપુરમના નામે પણ ઓળખવામાં આવે છે. આ શોધ દરમિયાન ચીન, ફારસ અને રોમના પ્રાચીન સિક્કા મોચી સંખ્યામાં મળી આવ્યા છે. પ્રાચીન બંદર મહાબલીપુરમનો લગભગ 2000 વર્ષ પહેલા ચીન સાથે ખાસ સંબંધ હતો.