મોદી સરકારે RTI કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો, સરકાર જનતા પ્રત્યેની જવાબદારીથી ભાગે છે : સોનિયા ગાંધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે મોદી સરકારને માહિતીનો અધિકાર કાયદો પોતાનો એજન્ડા લાગૂ કરવામાં બાધક લાગે છે. તેથી છેલ્લા સંશોધન દ્વારા સરકાર એ નક્કી કરવા માગે છે કે કોઇ પણ સૂચના આયુક્ત સરકારના હસ્તક્ષેપ અને નિર્દેશ બહાર ન રહે. આવું કરીને સરકાર જનતા પ્રત્યે તેની જવાબદારીથી બચવા માગે છે.

સોનિયાએ કહ્યું, “બીજેપી સરકારે આરટીઆઇ કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો છે. કેન્દ્રથી લઇને રાજ્યો સુધીના સૂચના આયુક્તો પર નવા સંશોધનથી ગંભીર અસર પડશે. આ સંશોધન દ્વારા મોદી સરકારને જી-હજૂરી કરનારા અધિકારીઓની નિયૂક્તિનો અધિકાર મળશે. આવા અધિકારી સરકારને ખુશ રાખવા માટે એવા સવાલો ઉઠાવવાની મંજૂરી નહીં આપે જેના જવાબ આપવા સરકાર માટે અઘરા હોય. ”

નવા સંશોધનથી સૂચના આયુક્ત સરકારની દયા પર નિર્ભર
સોનિયાએ કહ્યું- આરટીઆઇને કમજોર કરવા માટે મોદી સરકારે એ સંશોધનોને મંજૂરી આપી છે જેનાથી સૂચના આયુક્તનું પદ સરકારની દયા પર નિર્ભર થઇ જશે. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન મોટા ભાગના સૂચના આયુક્તોના પદ ખાલી જ રહ્યા છે. મુખ્ય સૂચના આયુક્તનું પદ પણ દસ મહિના સુધી ખાલી રહ્યું હતું.

સૂચના આયુક્તોનો કાર્યકાળ 5થી ઘટાડીને 3 વર્ષનો કરવામાં આવ્યો
સોનિયાએ કહ્યું- કોંગ્રેસ, મોદી સરકાર દ્વારા રાષ્ટ્રહિત વિરુદ્ધ તેના ફાયદા માટે લેવાઇ રહેલા નિર્ણયો વિરુદ્ધ લડાઇ ચાલુ રાખશે. સોનિયા ગાંધીએ આ વાત કેન્દ્ર સરકારના એ નિર્ણય પછી કહી જેમાં સૂચના આયુક્તોનો કાર્યકાળ પાંચ થી ઘટાડીને ત્રણ વર્ષનો કરવામાં આવ્યો છે.