હાલ મહા વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગુજરાતમાં અનેક જગ્યાઓએ વરસાદ શરૂ થયો છે. તો આ સાથે જ સરકારે ટેકાની ખરીદી શરૂ કરી હતી. જેના કારણે કેટલાય ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ આવ્યા હતા. પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ વિજય રૂપાણીએ ટેકાના ભાવની ખરીદી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે, ટેકાના ભાવે ખરીદી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. 15 નવેમ્બર સુધી ‘ટેકાના ભાવે ખરીદી મોકૂફ રહેશે. સરકાર ખરીદીનું નવું ટાઈમ ટેબલ જાહેર કરશે. ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. સરવેના આધારે ખેડૂતોને સહાય અપાશે. ‘મહા’ વાવાઝોડાની આગાહીને લઈને સરકાર સતર્ક છે.
તો પાક વીમા અંગે વિજય રૂપાણીએ કંપનીઓને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, વીમા કંપનીઓ કોઈપણ ઠાગાઠૈયા કર્યા વગર અધિકાર આપે. આ સાથે સીએમ રૂપાણીએ કહ્યું કે, ચારેય કંપનીઓ ગંભીરતાથી કામ કરે તેના માટે દિલ્હી સુધી રજૂઆત કરી છે.

