ચૂંટણી પંચે કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે કહ્યું કે, વિધાનસભાની 15 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે, જ્યારે મતની ગણતરી 9 ડિસેમ્બરે થશે. રાજ્યમાં સોમવારે આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવાશે અને આ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. 18 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ ભરાશે. કર્ણાટકમાં 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દેવાના કારણે 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની 17 સીટોમાંથી 15 સીટ પર પેટાચૂંટણી કરવાઈ રહી છે. 2 બેઠકો મસ્કી અને આરઆર નગર પર કોઈ નિર્ણય લેવાયો નથી. આ બન્ને સીટો પર ચૂંટણી સંબંધિત અરજી કર્ણાટક હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
15 સીટો પર 37 લાખથી વધારે મતદાતાઓ મુખ્ય ચૂંટણી અધિકારી સંજય કુમારના જણાવ્યા પ્રમાણે, 15 સીટો પર થવા જઈ રહેલી પેટાચૂંટણીમાં 37 લાખ 50 હજારથી વધારે મતદાતા ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે. જેમાં 19.12 લાખ પુરુષ અને 18.37 લાખ મહિલા મતદાતા સામેલ છે. અન્ય શ્રેણીના 399 મતદાતા પણ મતદાન કરશે. 15 સીટ પર પેટાચૂંટણી માટે 4185 પોલિંગ બૂથ બનાવાશે. સાથે જ 22 હજારથી વધારે કર્મચારીઓને ફરજ પર તહેનાત કરાશે. મતદાન માટે EVM સાથે સાથે વીવીપેટનો પણ ઉપયોગ કરાશે.
કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાના કારણે ચૂંટણી અટકી હતી
પહેલા આ 15 સીટો પર 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી, પરંતુ 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરી દેવા સાથે જોડાયેલો આ કેસ સુપ્રીમ કોર્ટમાં હોવાના કારણે ચૂંટણી પંચે તેને 5મી ડિસેમ્બર સુધી અટકાવી દીધી હતી. ગત મહિને જ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી દીધો હતો.
વિધાનસભા સ્પીકરે 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા
કર્ણાટક વિધાનસભાના સ્પીકરે તત્કાલીન મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના ફ્લોર ટેસ્ટ દરમિયામ 29 જુલાઈએ મતદાન પહેલા 17 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ તમામ ધારાસભ્યો વિશ્વાસમત દરમિયાન ગેરહાજર રહ્યા હતા, જેનાથી કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. બાદમાં રાજ્યમાં ભાજપની સરકાર બની હતી.

