દલિતો અને આદિવાસી સમૂહે બાબા રામદેવની પ્રોડક્ટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
બાબા રામદેવે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમ અને દ્રવિડ નેતા પેરિયાર પર કથિત રીતે ટિપ્પણી કરી હતી. બાદમાં આ વિરોધ શરૂ થયો છે.
ધ ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ મુજબ બાબા રામદેવે કહ્યું હતું કે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓએ હંમેશાં દેશ પર શાસન કર્યું છે. પરંતુ હવે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને પેરિયારના સમર્થકો દ્વારા ફેલાવાતાં ‘બૌદ્ધિક આતંકવાદ’થી ખતરો છે.
ઑલ ઇન્ડિયા આંબેડકર મહાસભા, અખિલ ભારતીય પછાત અને અલ્પસંખ્યક સમુદાય કર્મચારી સંઘ અને ભીમ આર્મીએ બાબા રામદેવના નિવેદનની ટીકા કરી છે.
આંબેડકર મહાસભાના અધ્યક્ષ અશોક ભારતીએ કહ્યું કે રામદેવ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોને સહન નહીં કરાય. તેઓએ પોતાને મનુવાદીના રૂપમાં વ્યક્ત કર્યા છે. અમે પતંજલિની ચીજવસ્તુઓના બહિષ્કારનું એલાન કર્યું છે.
ટ્વિટર પર ArrestRamdev પણ ટ્રૅન્ડ કરતું હતું અને લોકોએ સોશિયલ મીડિયામાં પણ બાબા રામદેવની ચીજવસ્તુઓ ન ખરીદવાની અપીલ કરી હતી.

