હાલમાં સમગ્ર રાજ્યમાં ઓછા ઉત્પાદનને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોચ્યાં છે. હાલ બજારમાં છૂટક ડુંગળી 100 રૂપિયાથી લઇને 120 રૂપિયે કિલો વેચાઇ રહી છે. ત્યારે સુરતના પાલનપુર પાટીયા ખાતે આવેલી પટેલ પાર્ક શાક માર્કેટમાં ડુંગળી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રી દરમિયાન કોઇ ચોર 250 કિલો ડુંગળી ચોરી ગયો છે. બજાર ભાવ પ્રમાણે જોઈએ તો ચોરેલી ડુંગળીની કિંમત રૂ. 25 હજાર જેવી થવા પામે છે. જ્યારે હોલસેલ ભાવ ડુંગળીની કિંમત 15 હજાર રૂપિયાથી વધારે થાય છે.
સુરત શહેરમાં હાલ સરદાર માર્કેટમાં ડુંગળીનો ભાવ 60 થી 80 રૂપિયા કિલો છે. આ ડુંગળી સુરત શહેરમાં ગૃહિણીઓનાં ઘર સુધી પહોંચતા તેનો ભાવ 100 રૂપિયાથી 120 રૂપિયા થઇ જાય છે. આ વાતને લઈને શાકભાજીની માર્કેટમાં ડુંગળીની ખરીદી પણ ઓછી થઈ રહી છે. વેપારીઓએ પણ હોલસેલ ડુંગળી માટે વધારે કિંમત ચુકવવી પડી રહી છે. જે બાદમાં પોતાનો નફો ઉમેરીને તેને રિટેલ માર્કેટમાં વેચે છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે ત્યારે સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી પટેલ પાર્ક શાક માર્કેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અહીં અમિતભાઈ નામનો ડુંગળીનો વેપારી 500 કિલો જેટલી ડુંગળી વેચવા માટે લાવ્યો હતો. જેમાંથી ગત મોડી રાત્રે કોઇ ચોર ઇસમ 250 કિલોની પાંચ બોરી ડુંગળી ચોરી ગયો હતો.
આ ઘટનાને લઇને સમગ્ર માર્કેટના છૂટક વેપારીઓ ચિંતામાં મૂકાયા હતા. અમિતે જણાવ્યું હતું કે, “અમે દરરોજ આવી રીતે જ રાત્રીના સમયે બધો માલ મૂકીને જતા રહીએ છીએ.” હાલમાં ડુગળીનો જે હોલસેલ ભાવ છે તેને આધારે જોઇએ તો 250 કિલો ડુંગળીની કિંમત 15 હજારથી પણ વધુ થાય છે. હાલમાં આ મામલે શાક માર્કેટના વેપારીઓ આસપાસ તપાસ કરી રહ્યા છે. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

