ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા અનિલ મુકિમ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી અનિલ મુકિમે આજે સાંજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સોંપીને સુદિર્ઘ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે.

અનિલ મુકિમે સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય જેવા વિવિધ વિભાગના વડા તરીકે કામગીરી કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. ઉપરાંત ગુજરાતના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચિફ સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ છેલ્લે કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગના સચિવ તરીકે સેવા આપી ચૂકયા છે.

મુખ્ય સચિવ અનિલ મુકિમે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભેચ્છા આપીને ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે રાજયના વરિષ્ઠ સનદી અધિકારીઓએ ઉપસ્થિત રહીને નવનિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને શુભેચ્છા પાઠવી હતી.