કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાયા છે. સુરતમાં યોજાયેલા આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવ્યા હતા. સમાજના એક સારા નિમાર્ણ માટે આ યુગલે માત્ર 6 મહિના પહેલા સત્સંગમાં થયેલા પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો સામે ઉમદું ઉદાહરણ આપ્યું છે.
સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો
અમદાવાદ ખાતે રહેતા નિહાર જનકભાઈ શાહ (ઉ.વ. 26) અમદાવાદ ખાતે પરિવાર સાથે રહે છે અને બેંક મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે 6 મહિના પહેલા સત્સંગમાં સુરતમાં રહેતી અશ્વિની પ્રભાકર દુવાડેના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી કોઈ બેન્ડ-વાજા નહિ, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહિ, કોઈ પીડિત કે ફેરા નહિ, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી આજે લગ્ન કર્યા હતા.

