પ્રદર્શનકારી હિંસાથી દૂર રહે, શાંતિપૂર્વક વિરોધ કરવાના અધિકારનું રક્ષણ અને સન્માન કરવામાં આવેઃ અમેરિકા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાએ કહ્યું છે કે તે ભારતમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શન પર નજર રાખી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે પ્રદર્શનકારીઓએ હિંસાથી બચવુ જોઈએ.અધિકારીઓએ પણ શાંતિપૂર્વક પ્રદર્શન કરવાના લોકોના અધિકારનું રક્ષણ અને સન્માન કરવું જોઈએ. કાયદા અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતા અને સમાન વ્યવહારનું સન્માન અમેરિકા અને ભારત બન્ને દેશના મૌલિક સિદ્ધાંત રહ્યા છે. અમે અપીલ કરી છીએ કે ભારત બંધારણ અને લોકશાહી મૂલ્યોને આધારે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરે.

નાગરિકતા કાયદા અંગે સંસદમાં અમારા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નથીઃ ઉદ્ધવ ઠાકરે

બીજીબાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અત્યારે નાગરિકતા કાયદા અંગે અમારી પાસે કોઈ સ્પષ્ટ ચિત્ર નથી. તેમણે કહ્યું છે કે અમે કાયદા અંગે સંસદમાં જે પણ પ્રશ્ન પૂછ્યા હતા તેના જવાબ આપવામાં આવ્યા નથી. કેટલા લોકો દેશમાં આવશે અને ક્યાંથી આવશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. દેશમાં આવનારા આ લોકો કઈ જગ્યાએ વસવાટ કરશે તે અંગે પણ કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

શિવસેના નેતા સંજય રાઉતને જ્યારે નાગરિકતા બિલ મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે કે નહીં તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે. વિપક્ષી ડેલિગેશને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા અંગે રાઉતે કહ્યું હતું કે શિવસેના એવા કોઈ પણ દળનો હિસ્સો નથી.

આ કાયદાના નકારાત્મક પરિણામો આવી શકે છેઃ માયાવતી
બહુજન સમાજવાદી પક્ષ (BSP)ના વડા માયાવતીએ કેન્દ્ર સરકાર સમક્ષ નાગરિકતા સુધારા કાયદાને પાછો ખેંચવાની માંગ કરી છે.BSP સુપ્રીમોએ કહ્યું છે કે આ એક ગેરબંધારણીય કાયદો છે. તેને પાછો ખેંચવામાં નહીં આવે તો તેના નકારાત્મક પરિણામો આવી શકે છે. સરકારે ઈમર્જન્સી જેવી સ્થિતિનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં, જે અગાઉ કોંગ્રેસ કરી ચૂકી છે. માયાવતીએ વધુમાં કહ્યું હતું કે BSPના સંસદીય દળે રાષ્ટ્રપતિને મળવા સમય માગ્યો છે. અમારો પક્ષ નાગરિકતા કાયદા અને મહિલાઓ પર થતા અત્યાચાર સામે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં અવાજ ઉઠાવશે.