આપણી આસપાસ ‘રંકમાંથી અમીર’ થયેલા લોકોનાં અનેક ઉદાહરણો હશે, પરંતુ ગુજરાતમાં સુરેન્દ્રનગર જીલ્લાના એક નાનકડા ગામ માથકમાં જન્મેલા નરેન્દ્ર રાવલનું જીવન અને તેનો ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે. એવા સમયે કે જ્યારે માત્ર એક ટંકનુ ભોજન લકઝરી ગણાતુ હતું, એવી સ્થિતિમાંથી આફ્રિકાના સફળ ઉદ્યોગ સાહસિક બનવાની વાત તેમના વિશે ઘણું બધુ કહી જાય છે. આજે નરેન્દ્ર રાવલ ગુરૂના લોકપ્રિય નામથી જાણીતા છે અને તેમનું જીવન અનેક યુવા ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રેરણા સમાન છે. મંદિરના પુજારીમાંથી કેન્યામાં રૂ. 5000 કરોડનું બિઝનેસ એમ્પાયર ઉભું કરનાર નરેન્દ્ર રાવલ આફ્રિકામાં સ્ટીલ અને સિમેન્ટ કિંગ તરીકે જાણીતા બન્યા છે અને હવે તેમનું લક્ષ્ય છે કે, પોતાનો વ્યવસાયનું કદ વધારીને રૂ. 7000 કરોડે પહોચાડવું. નરેન્દ્રભાઈનો જન્મ સુખી ગુજરાતી પરિવારમાં થયો હતો, પણ કેટલીક ઓચિંતી ઘટનાઓને કારણે તેમના પરિવારને ખૂબ જ કપરા સમયમાંથી પસાર થવુ પડયું. એવો સમય પણ આવ્યો કે જયારે તેમને સ્કૂલમાં પગરખાં વગર જવુ પડ્યું હોય કે રાત્રે ભૂખ્યા પેટે ઊંઘવું પડ્યુ હોય. આમ છતાં તેમણે સપનાં જોવાનું છોડ્યું નહીં.
નાનપણમાં અભ્યાસમાં મન લાગતું ન હતું
પોતાના વિદ્યાર્થી જીવન અંગે વાત કરતા નરેન્દ્રભાઈએ divyabhaskar.comને જણાવ્યું કે, મારું મન ક્યારેય ભણવામાં લાગતું ન હતું. પિતાને ખેતીવાડી સાથે ખેતીને લગતી સાધન સામગ્રી વેચવાનો પણ એક નાનો એવો વ્યવસાય હતો. હું સ્કુલ છોડીને ખેતરોમાં લોકો પાસે જતો અને તેમની જરૂરિયાતનો સમાન બિયારણ, ખાતર વગેરે પહોચાડતો. આ રીતે હું મારા પિતાને પણ વ્યવસાયમાં મદદ કરતો. આગળ અબ્યાસ અર્થે મારે સુરેન્દ્રનગર જવાનું થયું અને ત્યાં પણ મારું અભ્યાસમાં મન પરોવાયું નહિ.
2. તરણેતરના મેળામાં કોથળો પાથરીને વસ્તુઓ વેચતા
નરેન્દ્રભાઈનું ગામ તરણેતરના મેળાની નજીક હોઈ તેઓ મેળાના દિવસો દરમિયાન બંગાળી, ચાંદલા, રમકડા જેવી વસ્તુઓ બોક્સમાં ભરી અને ત્યાં મેળામાં જમીન પર કોથળો પાથરી વ્યાપાર કરતા. નરેન્દ્રભાઈ જણાવે છે કે, મેળાઓમાં વિવિધ વસ્તુઓ વેચી અને અમે તે સમયે દૈનિક 50-60 રૂપિયા કમાઈ લેતા હતા. બાળપણથી જ મને પૈસા કમાવવા માટેના વિચારો આવતા હતા.
3. કંટાળીને પિતાએ હોસ્ટેલમાં ભણવા મુક્યા
સ્કૂલમાંથી નરેન્દ્રભાઈની અવાર નવાર ફરિયાદો થતી રહેતી અને આખરે પિતાએ કંટાળી અને સજાના ભાગ રૂપે તેમને સુરેન્દ્રનગરની હોસ્ટેલમાં ભણવા માટે મોકલવામાં આવ્યા. અહી તેઓ માનવ મંદિર શાળામાં જોડાયા અને આ રીતે તેમને બહારની દુનિયાનો સંપર્ક શરુ થયો. હોસ્ટેલમાં રહેવાથી તેમનું ધ્યાન અભ્યાસમાં પણ પરોવાયું અને અહી તેઓ સંસ્કૃત ભાષા પણ શીખ્યા જે તેમને આગળ જતા ઘણી કામ લાગી.
4. 16 વર્ષની ઉમરે જીવનમાં નવો વણાંક આવ્યો
નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગરમાં મજા ન આવતી હોવાથી તેમણે પિતાને કહ્યું અને આગળના અભ્યાસ માટે 16 વર્ષની ઉમરે ભુજમાં આલ્ફ્રેડ હાઇસ્કુલમાં જોડાયા. તેઓ જ્યાં હોસ્ટેલમાં રહેતા હતા ત્યાં નીચે સ્વામીનારાયણ ભગવાનનું મંદિર હતું. આ મંદિરના બ્રહ્મચારી મહારાજ કરુણાનંદજી પડી જવાથી મંદિરમાં ભગવાનની સેવા કરી શકે તે માટે એક બ્રાહ્મણની શોધ ચાલુ હતી. આખી હોસ્ટેલમાં નરેન્દ્રભાઈ એક જ બ્રાહ્મણ હોવાથી 1977માં તેમને સ્વામીનારાયણ મંદિરમાં પૂજા કરવાનું તેમજ ભગવાનના પ્રસાદ તૈયાર કરવા માટે માસિક રૂ. 150ની પુજારી તરીકે કામ કરવાની તક મળી. આ સ્થળે તેમને કરુણાનંદજી મહારાજ પાસેથી રસોઈ કરતાં શીખવા મળ્યું.
5. સહાયક પૂજારી થવા માટે કેન્યા પહોંચ્યા
ભુજના મંદિરમાં સેવા ચાલુ હતી તે દરમિયાન કરુણાનંદજી મહારાજના કહેવાથી નરેન્દ્રભાઈ એક મંદિરમાં સહાયક પૂજારી થવા માટે કેન્યા પહોંચ્યા. તેમણે 3 વર્ષ સુધી મંદિરમાં સેવા આપી. પરંતુ થોડા સમયમાં તે નોકરી વગરના થઈ ગયા. તેમણે અહી સ્ટીલનો વેપાર કરતી એક કંપનીમાં નોકરી મળી. જોકે, કિસ્મતે તેમની સાથે મજાક કરવાનુ ચાલુ રાખ્યું હતું. એ સ્ટીલ કંપની બંધ થઈ ગઈ.
6. સંજોગ વસાત ત્રણ વર્ષ બાદ ફરી ભારત પરત ફર્યા
નૈરોબીમાં સ્વામીનારાયણ મંદિરમાં ત્રણ વર્ષ સેવા આપ્યા પછી માતાની તબિયત બગડતા તેમને જોવા માટે નરેન્દ્રભાઈ ભારત પોતાના ઘરે પરત ફરવા માટે મંદિરના મેનેજમેન્ટને વિનતી કરી પરંતુ આ અરજીને સ્વીકારવામાં આવી નહિ. બાદમાં એક મેમ્બરની દરમિયાનગીરીથી તેમને ભારત આવવા માટે રજા આપવામાં આવી. બાદમાં તેમને પત્ર દ્વારા જાન કરવામાં આવી કે મંદિરને તેમની સેવાની હવે જરૂર નથી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં પોતાના વતનમાં જ સ્થાઈ થવાનો નિર્ણય કર્યો અને અહી નોકરીની શોધમાં લાગ્યા. ગુજરાતની જાણીતી ઘડિયાળ બનાવતી અજંતા કંપનીમાં થોડા મહિના કામ કાર્ય બાદ તેમને લાગ્યું કે તેમનાથી આ કામ થશે નહી અને ફરી કેન્યા જવા માટે પ્રયત્નો શરુ કાર્ય હતા.
7. ખાલી હાથે આફ્રિકા જવા માટે રવાના થયા
ઘર આંગણે આર્થિક ઉપાર્જન માટે કોઈ યોગ્ય રસ્તો ન મળતા નરેન્દ્રભાઈએ વર્ષ 1981માં ફરી આફ્રિકા જવા નિર્ણય કર્યો. આ વખતે ત્યાં પહોચ્યા પછી શું કરવું એની કોઈ નિશ્ચિતતા ન હતી કેમકે હવે મંદિરની નોકરી તેમની પાસે હતી નહી. નૈરોબી પહોચ્યા બાદ થોડો સમય સ્વામીનારાયણ મંદિરમાં રોકાયા અને ત્યાર બાદ પોતાના માસીના ઘરે કિસુમુ જવાનો નિર્ણય કર્યો. થોડા મહિના માટે માસની દુકાનમાં કામ કાર્ય બાદ તેમની મદદથી એક સ્કુલમાં અંગ્રેજીના શિક્ષક તરીકેની નોકરી મેળવી. આ અંગે નરેન્દ્રભાઈ જણાવે છે કે, મારું અંગ્રેજી સારું ન હોવાથી વિદ્યાર્થીઓને શીખવાડવા કરતા તેઓની પાસેથી મારે શીખવું પડતું હતું.
8. ગુરુ બનવાની સફરની શરૂઆત
નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, થોડા સમય કિમુસુમાં રહ્યા બાદ મને લાગવા માંડ્યું કે હું મારા માસીના પરિવાર પર બોજ બની રહ્યો છુ. આ દરમિયાન નવરાત્રીના આવતી હતી જેની ઉજવણી ગુજરાતીઓ દ્વારા નાકુરુ શહેરમાં થવાની હતી જ્યાં જી મેં કિસ્મત અજમાવવાનો નિર્ણય કર્યો. નાકુરુમાં મને મારું પૂજા અને ધાર્મિક બાબતોનું જ્ઞાન કામે લાગ્યું અને અહી મને ધાર્મિક વિધિ અને કર્મકાંડ કરવા માટે લોકો બોલાવતા થયા. આ રીતે ધીમે ધીમે મારું જીવન સામાન્ય થતું હોય તેવું લાગ્યું. પૂજાવિધિ, જ્યોતિષનું કામ કરતો હોઈ લોકો મને ત્યાં ગુરુના નામે સંબોધવા લાગ્યા.
9. બિઝનેસમેન બનવા તરફની શરૂઆત
ધાર્મિક વિધિનું કાર્ય કરતા કરતા પણ નરેન્દ્રભાઈનું મન પોતાનો વ્યવસાય કરવા માટે આતુર હતું. સંજોગ એવા બન્યા કે તેમને ફરી નૈરોબી આવવાનું થયું અને ત્યાં અલગ અલગ લોકોના સંપર્કમાં આવવાથી પોતાનો બિઝનેસ શરુ કરવાનો વિચાર વધુ પ્રબળ બન્યો. અહી તેઓએ 1992માં સૌપ્રથમ હાર્ડવેરની એક નાની દુકાનથી શરુ કરી અને માત્ર ચાર વર્ષના ગાળામાં જ સમગ્ર કેન્યાના સૌથી મોટા હાર્ડવેરના વેપારી બની ગયા.
10. રૂ. 5000 કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું
એક દાયકા કરતાં પણ ઓછા સમયમાં તેઓ કેન્યામમાં ખૂબ જાણીતુ નામ બની ગયા. થોડાક સમય પછી તેમણે સ્ટીલ રોલીંગ કરતી દેવકી સ્ટીલ મીલની સ્થાપના કરી. એ પછી તેમણે પાછાવળીને જોયુ નથી. તેમણે ટૂંક સમયમાં આફ્રીકામાં રૂફીંગ ફેકટરીઓ, સિમેન્ટ પ્લાન્ટ અને અન્ય બિઝનેસ ઉભા કર્યા. હાલમાં દેવકી ગ્રુપ કેજે આશરે રૂ. 5000 કરોડનું ગણાય છે અને ફોર્બઝની આફ્રિકાની સૌથી વધુ 50 ધનિકોની યાદીમાં તેમનો સમાવેશ થયો છે. તે 4,000થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.
11. સ્વાસ્થ્ય, શિક્ષણ અને અનાથ આશ્રમ માટે રોજનું રૂ. 10 લાખનું દાન કરે છે
સમાજને કશુંક પરત આપવાની ભાવના સાથે નરેન્દ્ર રાવલ સખાવતી પ્રવૃત્તિમાં ધ્યાન આપતા રહે છે. તેમણે આફ્રીકામાં સંખ્યાબંધ અનાથ આશ્રમ શરૂ કર્યા છે અને શાળા તેમજ મેડીકલની સખાવતી પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થઈ રહ્યા છે. આ માટે તેમના પરિવાર તરફથી રોજ રૂ. 10 લાખનું દાન કરવામાં આવે છે. તેમના યોગદાનની કદર કરીને કેન્યામાં જેની સરકારના સર્વોચ્ચ એવોર્ડઝમાં સમાવેશ થાય છે તેવો ‘Elder of the Burning Spear’નો એવોર્ડ એનાયત કરાયો છે.

