લિંબાયતમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યાના આરોપી અનિલ યાદવની ફાંસીની સજા હાઈકોર્ટે યથાવત્ રાખી છે. ઘરની નજીકમાં જ રહેતી ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર બાદ તેની હત્યા બદલ 31 જુલાઈના સેશન્સ કોર્ટના જજ પી એસ કાલાની કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. આ ચુકાદાને આરોપી અનિલ યાદવે હાઈકોર્ટમાં પડકારતી અરજી કરી હતી.
જસ્ટિસ બેલા ત્રિવેદી તેમજ જસ્ટિસ એ સી રાવની ડિવિઝન બેન્ચે અનિલ યાદવીની અજી ફગાવી દેતા તેની ફાંસીની સજા યથાવત રાખી છે. બાળકી પર બળાત્કાર બદલ પોક્સો હેઠળ પણ તેને દોષિત ઠેરવવાાં આવ્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો અનિલ યાદવ (ઉં.26) પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. હવસખોરે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર જતો રહ્યો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે તે બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી.
આ કેસમાં હત્યા તેમજ પોક્સોની વિવિધ કલમ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સેશન્સ કોર્ટે તેને સજા ફટકારી હતી.

