અમેરિકન રાષ્ટ્રપતિ પત્ની સાથે આગરા પણ જશે, તાજમહેલની આજુ-બાજુની દુર્ગંધ દૂર કરવા યમુનામાં પાણી છોડાયું

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1 લાખ લોકોને સંબોધન કરશે. ત્યારપછી સાંજે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા તાજમહેલ જોવા માટે આગરા રવાના થશે. તેમની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે યમુના કિનારેથી દુર્ગંધ દૂર કરવા માટે ગંગનહરથી 500 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.

બીજા દિવસે 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મેલાનિયા દિલ્હીમાં રહેશે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઓફિશિયલ સ્વાગત કરવામાં આવશે. બંને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પણ જશે. દ્વીપક્ષીય વાર્તા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પછી ટ્રમ્પ રાત્રે વોશિંગ્ટન જવા રવાના થશે.

ટ્રમ્પની ભારત મુલાકાતનું શિડ્યુલ
24 ફેબ્રુઆરી (અમદાવાદ): 
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી બપોરે મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં સંબોધન કરશે, આ સ્ટેડિયમમાં એક લાખ લોકોની બેસવાની ક્ષમતા છે.

24 ફેબ્રુઆરી (આગરા): આ દિવસે સાંજે ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા આગરાની મુલાકાત પણ લેશે. અહીં બંને વિશ્વ વિરાસત તાજમહેલ જોશે.
25 ફેબ્રુઆરી (દિલ્હી): ટ્રમ્પ અને મેલાનિયાનું રાષ્ટ્રપતિ ભવનમાં ઓફિશિયલ સ્વાગત કરવામાં આવશે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા તેઓ રાજઘાટ પણ જશે. બપોરે તેઓ ઉદ્યોગપતિઓ સાથે બઠક કરશે. સાંજે ટ્રમ્પ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. રાત્રે 10 વાગે ટ્રમ્પનું સ્પેશિયલ વિમાન એરફોર્સ વન દિલ્હીથી વોશિંગ્ટન જવા રવાના થશે. 20 કલાકની ઉડાન પછી ટ્રમ્પ બુધવારે અમેરિકા પહોંચશે.