કોરોનાની લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પીએમ કેરમાં રૂ. 500 કરોડનું અનુમોદન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાયરસ સામેની લડાઈમાં નાણાંકીય સહાય આપવાની વડાપ્રધાનની અપીલને પગલે મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે PM CARES ફંડમાં રૂ. 500 કરોડના અનુમોદનની જાહેરાત કરી છે. અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની સૌપ્રથમ કોરોના વાયરસ માટેની સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી તેમજ કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલા વાહનો માટે ઈંધણ આપવાની પણ જાહેરાત કરી હતી.

પીએમ કેરમાં નાણાંકીય સહાયની જાહેરાત ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગાઉ ગુજરાત સરકાર તેમજ મહારાષ્ટ્ર સરકારને કોરોના સામેની લડાઈમાં રૂ. 5-5 કરોડના સહકારની પણ જાહેરાત કરી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામે દેશને એક થઈને લડવા આહ્વાન કર્યું હતું તેમજ દેશવાસીઓને પોતાનાથી બનતી આર્થિક મદદ કરવા પણ જણાવ્યું હતું. આરઆઈએલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દેશ આફતની ઘડીમાં સજજ તેમજ જોશમય રહે અને પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ થઈ રહે સાથે જ આક્સમિક આવી પડેલી મુશ્કેલીમાંથી ઉભરીને રાષ્ટ્ર વિજયી બને તે માટે રિલાયન્સ હર હંમેશા ખડેપગે છે.

કંપનીએ પોતાના પરિવારને આ વિપદાના કામમાં જોતરાઈ જવા હાકલ કરી દીધી છે અને શહેરો ઉપરાંત ગામડાઓમાં પણ વધારાની ક્ષમતાઓ સાથે રાષ્ટ્ર સેવામાં લાગી ગયો છે. રિલાન્ય ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ‘વહેલી તકે ભારત કોરોના વાયરસની કટોકટીનું નિવારણ લાવી શકશે તેવો અમને વિશ્વાસ છે. આ મુશ્કેલીના ગાળામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટીમ દેશની સાથે છે અને કોવિડ 19 સામેના જંગને જીતવા અમે બધું જ કરી છૂટવા તત્પર છીએ.’

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નિતા અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ‘દેશ કોરોના વાયરસની મહામારીમાં સપડાયો છે ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશન દેશના તમામ લોકો, મહિલાઓ તેમજ ખાસ કરીને પ્રથમ હરોળમાં રહીને લડી રહેલા સ્વાસ્થ્ય ક્ષેત્રના સેનાનીઓની સાથે ખભેથી ખભો મિલાવીને ઉભું છે. અમારા ડોક્ટર્સ તેમજ સ્ટાફની મદદથી અમે દેશની સૌપ્રથમ કોવિડ 19 હોસ્પિટલ સ્થાપી શક્યા છીએ તેમજ અમે સરકાર પ્રત્યે કટિબદ્ધ છીએ. આ હોસ્પિટલમાં કોરોના વાયરસનું સ્ક્રિનિંગ, ટેસ્ટિંગ અને સારવાર સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહેશે.’

નિતા અંબાણીએ છૂટક મજૂરી કામ કરતા લોકો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી અને તેમણે આવા લાખો મજૂરોને ભોજન પુરું પાડવાનું તેમનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગાઉ માસ્ક ઉત્પાદન વધારવાની જાહેરાત પણ કરી હતી.

દેશના કોર્પોરેટ દ્વારા નાણાકીય સહાયની સરવાણી થઈ

દેશના ટોચના કોર્પોરેટ્સે કોરોના સામેના જંગમાં આર્થિક મદદ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તાતા ટ્રસ્ટ અને તાતા જૂથે મળીને 1500 કરોડના દાનની જાહેરાત કરી હતી જે કોર્પોરેટ જૂથ દ્વારા કરાયેલી સૌથી વધુ રકમની નાણાકીય મદદ રહી છે. પેટીએમે 500 કરોડ, એલએન્ડટી અને એનએમડીસીએ 150-150 કરોડ, ગૌતમ અદાણી જૂથ, અનિલ અગ્રવાલ, સજ્જન જિંદાલ, એચયુએલ, ફોનપે, ટોરેન્ટ ગ્રુપ અને બજાજ ગ્રુપે પણ 100 કરોડની આર્થિક મદદની જાહેરાત કરી છે.  

આઈટીસી તેમજ ટોરેન્ટ ગ્રુપે 50 કરોડ પીએમ કેર માટે રોકડ સહાય તેમજ તેટલી જ રકમની સરકારી હોસ્પિટલમાં દવાઓ પુરી પાડવાની જાહેરાત કરી હતી. કોટક મહિન્દ્રા બેન્કના એમડી ઉદય કોટકે 60 કરોડનું દાન આપ્યું છે. એશિયન પેઈન્ટ્સે 35 કરોડ, ટીવીએસ મોટર્સે 25 કરોડ તેમજ એલએનજે ભિલવારા ગ્રુપે 5.51 કરોડ આપવાની જાહેરાત કરી છે. આઈઆઈએફએલે પાંચ કરોડ આપ્યા હતા.