કેન્દ્રની જેમ રાજ્ય સરકારનો નિર્ણય, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ધારાસભ્યોના પગારમાં 30 ટકાનો કાપ

ગુજરાત મુખ્ય સમાચાર

સમગ્ર વિશ્વની સાથે ભારત અને ગુજરાત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 150 જેટલા કેસ સામે આવી ચુક્યા છે. હાલ સરકાર સહિત રાજ્યના લોકો આ મહામારીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ જીવલેણ વાયરસ સામે લડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.

વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ એલએલેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે તેમ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.