દિલ્હીની જેમ વડોદરામાં મળી હતી તબલિગી મરકઝ, પોલીસનો આગઝરતો રિપોર્ટ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી જમાત મળી હોવાનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસે આ અંગે રાજ્ય સરકારને આગ ઝરતો રિપોર્ટ આપ્યો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા-સૈયદપુરામાં તબલિગી મરકઝ મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કાર્યક્રમમાં મુંબઇના જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસ થયો હતો. જેમાંથી આંધ્રપ્રદેશની જમાતના 7 લોકો આજે પણ વડોદરામાં હોવાનું મનાઈ રહ્યુ છે.

પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો

નાગરવાડાનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ ફિરોજખાન પઠાણ 16 માર્ચે અમદાવાદ ગયો હતો અને આ માહિતી તેણે પોલીસથી છુપાવી હતી. જોકે, મોબાઈલ લોકેશનના અધારે પોલીસે તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે. અમદાવાદમાં દાણીલીમડા, આસ્ટોડિયા અને જમાલપુરની મુલાકાત બાદ ફિરોઝખાનને ચેપ લાગ્યો હતો. જે બાદ તે પબ્લિક ટ્રાન્સપોર્ટ મારફતે વડોદરા પાછો આવ્યો હતો. બીજીતરફ વડોદરાની 6 જમાત શહેર બહાર ગઈ હતી.તે પણ સામે આવ્યુ છે. 6 જમાતના 77 લોકો મરકજ માટે બહાર ગયા હતા.તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે.