ઈડીએ નિઝામુદ્દીન મરકજ, તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી અને પ્રબંધન કમિટી પર મની લોન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. ઈડીએ દિલ્હી પોલીસની એફઆઈઆરના આધાર પર મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. મૌલાના સાદ પર મોટા પાયે દેશ અને વિદેશમાંથી ફંડિંગ લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઈડીએ મૌલાના સાદ વિરુદ્ધ PMLA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. મૌલાના ઉપરાંત આઠ અન્ય લોકો પણ ઈડીની રડાર પર છે.
નોંધનીય છે કે ગયા મહિને નિઝામુદ્દીન મરકજમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દેશમાં કોરોના વાયરસનું મુખ્ય હોટસ્પોટ બન્યું હતું. દેશના અનેક રાજ્યોમાંથી આવેલા જમાતીઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જેમાંથી હજારોની સંખ્યામાં જમાતીઓ કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા.
આ અગાઉ તબલીગી જમાતના નેતા મૌલાના સાદ કાંધવલી વિરુદ્ધ ઈરાદાપૂર્વક હત્યા કરવા માટે પણ કેસ નોંધાયો હતો. પોલીસે જણાવ્યું કે તબલીગી જમાત કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોમાંથી કેટલાક જમાતીઓ કોરોના વાયરસના કારણે કાળનો કોળિયો બની ગયા ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ જીવલેણ બીમારીને કાબુમાં લેવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનો આદેશ આપી દેવાયા છતા પણ મૌલાના સાદે ગયા મહિને જ નિઝામુદ્દીન મરકજમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.