કોરોના ત્રાસદી કાળમાં દેશમાં લોકડાઉની સ્થિતિ યથાવત છે. સામાન્ય પ્રજા પોતાના ઘરમાં છે અને લોકો સાથે વાત કરવાનું એક માત્ર સાધન ફોન અને સોશિયલ મીડિયા છે. એવા સમયમાં જ્યારે આખો દેશ પોતાના જૂના મિત્રો સાથે વાત કરીને લોકડાઉનમાં સમય પસાર કરી રહ્યા છે, ખુદ પીએમ મોદીએ પણ છેલ્લાં કેટલાંક દિવસથી પોતાના મિત્રો સાથે વાત કરવામાં લાગ્યા છે. પીએમે તાજેતરમાં જ જનસંઘના દિવસના પોતાના જૂના સાથીઓ સાથે વાતચીત કરી છે, જેમની સાથે તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી.
ઉત્તરાખંડના વરિષ્ઠ ભાજપ નેતા મોહન લાલ બૌઠિયાલ (76 વર્ષ) ને બુધવાર સવારે 8.26 વાગ્યે ફોન આવ્યો જ્યારે તેઓ ઉત્તરાખંડમાં પૌડી જિલ્લાના દુગ્ગડા બ્લોક સ્થિત પૈતૃક ગામ એતામાં પોતાના ઘઉંના ખેતરની તરફ જઇ રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી કોલ આવતા તો થોડીક જ સેકન્ડમાં બીજા છેડેથી પ્રધાનમંત્રીનો અવાજ સાંભળી તેઓ ભાવ-વિભોર થઇ ગયા, જ્યારે પ્રધાનમંત્રીએ તેને પૂછયું કે કેવું ચાલી રહ્યું છે. મોદીએ અંદાજે ત્રણ મિનિટ સુધી પોતાના જૂના સાથી સાથે વાતચીત કરી.
તેમણે આ અંગે વાતચીત કરી કે કેવી રીતે 1998મા તેમની મુલાકાત બદ્રીનાથમાં ભાજપના પ્રદેશ કાર્યસમિતિની બેઠકમાં થઇ હતી અને ત્યારબાદ 2014મા ઉત્તરાખંડના શ્રીનગર (ગઢવાલ)માં એક ચૂંટણી સભામાં મળ્યા હતા. મોદીએ બૌઠિયાલને કહ્યું કે તેમણે દેશમાં સંકટના આ સમયમાં જનસંઘના દિવસોના પોતાના જૂના સાથીઓ સાથે વાત કરવાનો નિર્ણય કર્યો છે અને આ નાતે તેમની સાથે વાત કરી રહ્યા છે. બોઠિયાલ 1960મા જનસંઘમાં સામેલ થયા હતા. ત્યારબાદ તેઓ 1970માં જનતા પાર્ટી અને 1980માં ભાજપ સાથે જોડાયા. ઉત્તર પ્રદેશથી અલગ ઉત્તરાખંડ રાજ્ય બન્યા બાદ બૌઠિયાલ પાર્ટીના કેટલાંય મહત્વપૂર્ણ પદો પર રહ્યા.
કુશીનગરમાં 106 વર્ષના પૂર્વ ધારાસભ્ય સાથે વાતચીત
બૌઠિયાલ સિવાય પીએમે તાજેતરમાં જ ભાજપના કેટલાંય બીજા નેતાઓને ફોન કરીને તેમના હાલચાલ પૂછયા હતા. આની પહેલાં બુધવારના રોજ પીએમે યુપીના કુશીનગર જિલ્લામાં રહેતા પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ ઉર્ફે ભુલઇ ભાઇ સાથે ફોન પર વાત કરી. 106 વર્ષના શ્રીનારાયણ પીએમ સાથે વાત કરીને ભાવવિભોર થઇ ગયા. આ વાતચીતમાં પ્રધાનમંત્રીએ તેમને કહ્યું કે તેમના આશીર્વાદ લેવા માટે તેમને આટલા દિવસ બાદ ફોન કર્યો છે.
‘ભગવાન તમને યશસ્વી કરે’
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે બસ એમ જ મન થયું કે તમે શતાબ્દી જોઇ તો સંકટના સમયે તમારા આશીર્વાદ લઇ લઉં. તેના પર ધારાસભ્ય એ જવાબ આપ્યો કે ભગવાન તમને યશસ્વી કરે. જ્યાં સુધી તમે સ્વસ્થ રહો ત્યાં સુધી તમે દેશનું નેતૃત્વ કરો. પ્રધાનમંત્રીએ તેનો જવાબ આપતા કહ્યું કે તમારા લોકો પાસેથી જે શીખ્યો છું તે દેશ માટે કામમાં આવે બસ એ જ વાત છે. પીએમે પૂર્વ ધારાસભ્ય સાથે લગભગ બે મિનિટ સુધી વાતચીત કરી અને પછી તેમના આખા પરિવારને પ્રણામ કહેતા ફોન મૂકી દીધો.
99 વર્ષના ધારાસભ્યને દાન પર ધન્યવાદ
પીએમે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાનો ફોન કરી આભાર માન્યો. રત્નાબાપા એ જ શખ્સ છે જેમણે પીએમ કેયર્સ ફંડમાં 51,000 રૂપિયા દાન આપ્યું હતું. 17 એપ્રિલના રોજ રત્નાબાપાએ જાતે જૂનાગઢ જિલ્લા કલેકટરની ઓફિસે જઇ આ રકમ ડીએમને સોંપી હતી. પીએમને દાનની આ રકમની માહિતી મળતા જ રત્નાબાપાને ફોન કરી આભાર માન્યો હતો.