રાહુલ બાદ હવે PM મોદી પણ બે બેઠકો પરથી ચૂંટણી લડશે? આ રાજ્યમાંથી ઉઠી માગણી

મુખ્ય સમાચાર રાજકીય

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની પશ્ચિમ બંગાળ શાખાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યની કોઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની ભલામણ કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે શનિવારે આ જાણકારી આપી. પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકો છે. જેના માટે સાત તબક્કામાં મતદાન થવાનું છે.

રોયે કહ્યું કે, ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઈચ્છા પ્રગટ કરી છે કે તેઓ આ વખતે પશ્ચિમ બંગાળની કોઈ પણ એવી  લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે જ્યાં છેલ્લા બે તબક્કામાં 12મી મે અને 19મી મેના રોજ મતદાન થવાનું છે.’ રોયે કહ્યું કે, ‘તેમણે (મોદીએ) હજુ કઈ કહ્યું નથી પરંતુ અમને આશા છે કે તેઓ અમારી વાત સ્વીકારશે.’

ભાજપ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે રોયે દક્ષિણ દિનાજપુરના બુનિયાદપુરમાં થયેલી ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભલામણ કરી. ભાજપની પશ્ચિમ બંગાળ શાખાએ આ ભલામણ મતદારોને એ સંદેશ આપવા માટે કરી છે કે પાર્ટી યોજનામાં રાજ્યનું ખુબ મહત્વ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યમાં 23 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

શનિવારે રેલીમાં પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા  પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે પ.બંગાળમાં લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના મતદાન બાદ ‘સ્પીડબ્રેકર દીદી’ની ઊંધ ઉડી ગઈ છે.

તેમણે એમ પણ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીને સમજવામાં તેમણે ભૂલ કરી નાખી. કારણ કે તેઓ તેમને સાદગીના પ્રતિક માનતા હતાં જેઓ પશ્ચિમ બંગાળને ડાબેરીઓના શાસનમાંથી મુક્ત કરારવવા ઈચ્છતા હતાં. પરંતુ હવે તેમને તેમની ભૂલનું ભાન થઈ ગયું છે. દક્ષિણ દિનાજપુર જિલ્લાના આ વિસ્તારમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે લોકોએ ‘મમતા દીદી’ પર ખુબ વિશ્વાસ કર્યો છે. મમતા દીદીએ રાજ્યના માં, માટી, માણુસ (મમતાનો પ્રિય નારો) સાથે દગો કર્યો છે.

વડાપ્રધાને આ રેલીમાં કહ્યું કે, “જો તેમના જેવા વ્યક્તિ તેમને સમજવામાં ભૂલ કરી શકે તો સામાન્ય લોકોથી પણ આવી ભૂલ થવી સ્વાભાવિક છે.” તેમણે કહ્યું કે, “પરંતુ હવે હું તેમનો અસલ રંગ સમજી ગયો છું, અને હવે બંગાળના બાળકો સુદ્ધા તે સમજી ગયા છે.” શારદા અને રોઝ વેલી પોંજી કૌભાંડો અને નારદ સ્ટિંગ વીડિયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “ગરીબોની કમાણી લૂંટી લેવામાં આવી. ત્યારબાદ દીદીએ કૌભાંડીઓને સાંસદ અને મંત્રી બનાવી દીધા. એટલું જ નહીં, તેઓ કૌભાંડીઓ માટે ધરણા ઉપર પણ બેસી ગયાં.”

મમતાએ શારદા ચિટ ફંડ કૌભાંડ મામલે કોલકાતા પોલીસ કમિશનર રાજીવકુમારની પૂછપરછ કરવાના સીબીઆઈના પ્રયત્નોના વિરોધમાં ફેબ્રુઆરીમાં ધરણા કર્યા હતાં. પીએમ મોદીએ કહ્યું કે તમારા આશીર્વાદથી, તમારો ચોકીદાર ગરીબોના લૂંટાયેલા દરેક પૈસાનો હિસાબ લેશે. હવે આ લોકો કોઈ પણ તાકાતનો ઉપયોગ  કરી લે, ન્યાયને રોકી શકશે નહીં. બાલુરઘાટ લોકસભા મતવિસ્તારથી ભાજપના ઉમેદવાર સુકાંતા મજમુદારના સમર્થનમાં સભાને સંબોધી રહેલા વડાપ્રધાને કહ્યું કે આખા દેશમાં ચર્ચા હતી કે બંગાળમાં કઈંક મોટું થઈ રહ્યું છે.