ગુજરાતમાં પીવાના પાણીની તંગીનું ચિત્ર બિહામણું બની રહ્યું છે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે મહિલાઓ ભારે રઝળપાટ કરી રહી છે. બીજી બાજુ સિંચાઈ પિયત જમીન ધરાવતા ખેડૂતો નસીબદાર હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે. વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાંથી ૫ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તંત્રએ ૩૫ ક્યુસેક પાણી છોડતા ૨૦૦ હેકટરથી વધુ જમીનમાં ઉનાળુ ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ઉનાળાની ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે જો કે જિલ્લાના ત્રણેય ડેમમાં પાણીનો જથ્થો પુરતો હોવાથી પીવાના પાણીની સમસ્યા વર્તાવાની શક્યાતાઓ નહીંવત છે. હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પૂરતું પાણી હોવાથી ખેડૂતો માટે રાહતના સમાચાર મળ્યા છે. સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતોની માંગ અનુસાર માઝુમ ડેમ બાદ વાત્રક જળાશયમાંથી સિંચાઇ માટે ત્રીજા તબક્કાનું પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. વાત્રક જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડાતા અંદાજિત ૨૦૦ હેક્ટરમાં ફયદો થશે.

