પશ્ચિમ બંગાળમાં બે જૂનિયર ડોક્ટર્સ પર થયેલા હિંસક હુમલા બાદ છંછેડાયેલું આંદોલન સતત ભડકી રહ્યું છે. શુક્રવારથી બંગાળ સિવાયના રાજ્યોના ડોક્ટર્સે પણ આ મામલાને સમર્થન આપ્યું છે. દિલ્હી, મુંબઈ સહિતના તમામ શહેરોમાં મોટી-મોટી હોસ્પિટલ્સ પર આની માઠી અસર પડી છે. બંગાળમાં અત્યારસુધીમાં 700 જેટલા ડોક્ટર્સ પોતાનું રાજીનામું આપી ચૂક્યા છે, જેમાં કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલમાંથી 175થી વધુ ડોક્ટર્સે સામૂહિક રૂતે રાજીનામા આપ્યા છે.
ઈંડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ 14 જૂનથી ત્રણ દિવસ સુધી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યાની સાથે 17 જૂને દેશભરમાં ડોક્ટર્સને હડતાલ કરવાની જાહેરાત કરી દીધી છે. આઈએમએ હોસ્પિટલમાં ડોક્ટર્સ પર થતી હિંસાની તપાસ કરવા માટે એક કાયદો બનાવવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે કે આ કાયદનો ભંગ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા સાત વર્ષની જેલ થવી જોઈએ તેવી કોઈ જોગવાઈ થવી જોઈએ.
કોલકાતાની એક હોસ્પિટલમાં બે ડોક્ટરો પર હુમલાના મામલે જુનિયર ડોક્ટરોએ પાડેલી હડતાળનો વ્યાપ સમગ્ર દેશમાં ફેલાયો છે. હવે વિવિધ રાજ્યોના સરકારી ડોક્ટરોએ તેમની સાથે એકતા દર્શાવીને પ્રદર્શનોમાં જોડાયા છે. ડોક્ટરોની હડતાળને કારણે પશ્ચિમ બંગાળમાં ચાર દિવસથી આરોગ્યની સેવાઓ ખોરવાઇ ગઇ છે.
રવિવારે રાત્રે કોલકાતાની એનઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતેના ડોકટરો પર એક દરદીના સગાવાળાઓએ હુમલો કરતાં વિરોધ પ્રદર્શનો કરતા હતા. ડોક્ટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની બિનશરતી માફીની માગણી કરી છે અને છ શરતો રાખી છે. ડોક્ટરોએ તેમના પર હુમલાથી બચવા માટે વધુ આકરા કાયદાની માગણી કરી છે.
દિલ્હીમાં કેટલાક સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોએ કામનો બહિષ્કાર કરીને પ્રદર્શનો યોજ્યા હતા, કૂચ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. દિલ્હીની એમ્સના ડોક્ટર્સના એસોસિએશને પણ મમતા સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો બે દિવસમાં પશ્ચિમ બંગાળ સરકાર જો ડોક્ટર્સની માગનો સ્વિકાર નહીં કરે તો એમ્સમાં પણ અનિશ્ચિત સમય માટે હડતાળ પાડવાની ચમકી આપી છે.