ગીરમાં ત્રણ સિંહના મોત મામલે ખુલાસો, કૃમિને કારણે ત્રણેય સિંહોના મોત થયા, 6 સિંહ દેખરેખ હેઠળ

ગુજરાત મુખ્ય સમાચાર

છેલ્લા એક વર્ષથી વિશ્વમાં એક માત્ર એશિયાટિક લાયન ધરાવતા ગુજરાતના ગીરમાં સતત સિંહોના મોત થઈ રહ્યા છે, ત્યારે 10 દિવસ પહેલા મેંદરડાનાં કેરંભા વિસ્તારના ગડકબારી જંગલમાં થયેલા ત્રણ સિંહના થયેલા મોત મામલે નવો ખુલાસો થયો છે. વન વિભાગે ત્રણ સિંહોના મોતની પુષ્ટી કરી ત્રણેય સિંહના કૃમિને કારણે મોત થયો હોવાનો ખુલાસો કર્યો છે. જેને પગલે સલામતી માટે 1 સિંહ અને ત્રણ સિંહણ તથા 2 સિંહ બાળ સહિત કુલ 6 સિંહને હાલ અન્ય સ્થળે ખસેડીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ગત વર્ષે 23 સિંહના મોત થયા, સુપ્રીમે કહ્યું હતું સિંહોના મોત અત્યંત ગંભીર બાબત
ગત વર્ષે ઓક્ટોબરમાં ગીર પૂર્વની દલખાણીયા રેન્જની સરસિયા વીડી ખાતે એક બાદ એક 23 સિંહ મોતને ભેટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. ત્યાર બાદ આ સિંહોના મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસને કારણે મોત થયા હોવાનો ખુલાસો થયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે સિંહોના મોતને બેહદ ગંભીર બાબત ગણાવી કહ્યું કે, સિંહોના મોત રોકવા માટે કંઈક કરવું જોઈએ. સિંહોનું સંરક્ષણ કરવું જ જોઈએ.