કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે હૈદરાબાદની મુલાકાતે પહોંચ્યા, અહીં તેઓએ તેલંગણાના રંગારેડ્ડી જિલ્લાની મુલાકાત લીધી અને અહીં ભાજપના સભ્ય અભિયાનની શરૂઆત કરાવી, શાહે અહીં મમદીપલ્લી ગામમાં એક આદિવાસી મહિલા જાટવતી સોનીના ઘરે ભોજન ગ્રહણ કર્યું હતું.
ભોજન બાદ શાહે આ આદિવાસી પરિવારને ભાજપમાં સભ્યપદ અપાવ્યું હતું. તો આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન ભાસ્કર રાવે પણ આ દરમિયાન ભાજપમાં જોડાયા.સ્થાનિક રાજકારણમાં ભાજપની આ મોટી સફળતા ગણવામાં આવી રહી છે.
આ પ્રવાસ દરમિયાન શાહે કહ્યું કે પાર્ટીમાં સજ્જન શક્તિ એકત્રિત થઇ રહી છે. તમામ દળમાં સારા લોકો છે અને તે સારા લોકો પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપમાં આવી રહ્યાં છે. ચૂંટણી હારતા જ પાર્ટી વિખેરાય જાય છે. ટીડીપી વિખેરાય ગઇ, કારણ કે વ્યક્તિ, પરિવાર અથવા જાતિ પર આધારિત પાર્ટી છે. ભાજપ વ્યક્તિ પ્રધાન પાર્ટી નથી.
અમિત શાહે તેલંગણાને 18 લાખ નવા સભ્ય બનાવવાનો ટારગેટ આપ્યો છે. તેઓએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેલંગણામાં 19 ટકા મત મળ્યા હતા. તેને વધારીને 50 ટકા સુધી પહોંચાડવાના છે. જે ગામમાં સભ્ય વધારવા કાર્યકર્તાઓ જશે ત્યાં સ્વચ્છતા અભિયાનનું ધ્યાન રાખશે અને ઓછામાં ઓછા પાંચ વૃક્ષ લગાવવાના રહેશે.

