મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વાંગણી વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં 700 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તમામ મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ, નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા હતા. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ 700 મુસાફરોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. તમામ મુસાફરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ ટ્રેનમાં નવ ગર્ભવતિ મહિલા પણ મુસાફરી કરી રહી હતી. ઈમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા ગાયનોકોલોજીસ્ટ સાથે 37 ડોક્ટરોની ટીમ મુસાફરો સાથે છે
મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈ-કર્જત વચ્ચેની રેલવે સેવા બંધ કરાઈ છે. બીજી તરફ સાત ફ્લાઈટને રદ્દ કરાઈ, 17 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે. હવામાન વિભાગે હજુ 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસે લોકોને વિનંતી કરી છે તેઓ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ન જાય.સમુદ્રથી દૂર રહે.કોઈ પણ મદદ માટે 100 નંબર ઉપર ફોન કરે. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું છે કે વિઝિબિલિટી ઓછી થવાના કારણે ફ્લાઈટ્સને અસર પડી રહી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં 26થી 28 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે.
26 જુલાઈ 2005માં પણ વરસાદે કહેર વર્તાવ્યો હતો
26 જુલાઈ 2005માં પણ ભારે વરસાદના કારણે મુંબઈમાં 400થી વધારે લોકોના મોત થયા હતા. ઔદ્યોગિક એકમો, એરપોર્ટ અને પોર્ટ ઘણા દિવસ સુધી બંધ રહ્યા હતા. રૂ. 550 કરોડનું નુકસાન થયું હતું.

