કનૈયાકુમાર, હાર્દિક, જીજ્ઞેશ એક મંચ પર : મેવાણીએ કરી જાહેરાત

ગુજરાત મુખ્ય સમાચાર

રાજકોટમાં સંવિધાન બચાવો રેલી અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિવાદિત સ્ટૂડન્ટ નેતા કનૈયાકુમાર, હાર્દિક પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણી એક મંચ પર આવ્યા હતા. કોંગ્રેસમાંથી નીકળી ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૌએ મોદી, ભાજપ પર ચાબખા માર્યા હતા.

જેએનયુમાં વિદ્યાર્થી સંગઠનના નેતા 32 વર્ષીય કનૈયાકુમારે રાજકોટમાં મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું કે, દેશનો મતલબ માત્ર પ્રધાનમંત્રી નથી, મોદી નથી, દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે. મોદી સરકારની બેવડી દેશભક્તિ સામે ચાબખા મારતા કનૈયાકુમારે કહ્યું હતું કે, વાહ મોદી સરકાર. ભાજપ પીડીપી સાથે ગઠબંધન કરે, જે પાર્ટી અફઝલનું સમર્થન કરે તેની સાથે ગઠબંધન કરે ત્યારે ક્યાં ગઈ દેશભક્તિ?

પ્રેસ સમક્ષ દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ એવી જાહેરાત કરી હતી કે, પોતે લોકસભાની ચૂંટણી લડવાનો નથી. મારા બાબતે  ખોટા મેસેજ ચાલી રહ્યા છે. જ્યારે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, હા અમે ભાજપના વિરોધી છીએ પણ ભારત ના નહીં. હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ તે હવે જણાવીશ. 2019માં લડું કે નહીં તે નક્કી નહીં પણ ચૂંટણી લડીશ એ ચોક્કસ છે. કનૈયા દેશદ્રોહી, હાર્દિક દેશદ્રોહી કહેવામાં આવે છે પણ હજુ સુધી કોર્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી રેલી કરવાનો અધિકાર છે પણ આ રેલી માટે પોલીસે પણ કચાસ રાખી છે. વિરોધ કરનાર માટે અમે અલગ વ્યવસ્થા કરી આપીશું.