ભારત વિન્ડીઝ સામે છેલ્લી 8 બાઈલેટરલ સિરીઝથી અપરાજિત, વર્લ્ડકપ પછી આજે પ્રથમ વનડે રમશે

ખેલ-જગત મુખ્ય સમાચાર

વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ પછી ભારત પહેલી વાર વનડે રમવા મેદાને ઉતરશે. 3 મેચ સિરીઝમાં વિન્ડીઝ સામેના પ્રથમ મુકાબલો ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગે પ્રોવિન્સ સ્ટેડિયમ ગયાના ખાતે રમાશે. શિખર ધવન આ મેચથી વનડે ફોર્મેટમાં વાપસી કરશે. તે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થતા ટૂર્નામેન્ટની બહાર થયો હતો. ટી-20માં વિન્ડીઝનો વ્હાઇટવોશ કર્યા પછી વનડેમાં પણ ટીમ ઇન્ડિયા ફેવરિટ છે.

લોકેશ રાહુલ ચોથા ક્રમે?

130 વનડેમાં 17 સદી ફટકારનાર શિખર ધવન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. ત્રીજો નંબર વિરાટ કોહલીનો પોતાનો છે. તેવામાં શું ભારત લોકેશ રાહુલને ફરી એક વાર ચોથા ક્રમે રમાડશે? તેણે વર્લ્ડકપની શરૂઆતમાં ચોથા ક્રમે બેટિંગ કરી હતી અને પછી ધવન ઈજાગ્રસ્ત થતા ઓપનરની ભૂમિકા નિભાવી હતી. તેણે પ્રમાણમાં સારો દેખાવ કર્યો હોવાથી તેને ડ્રોપ કરવાનો નિર્ણય અઘરો છે.
કેદાર જાધવ પાંચમા અથવા છઠા ક્રમે બેટિંગ કરશે. ટીમ ઋષભ પંતનો ફ્લોટર તરીકે ઉપયોગ કરી શકે છે. તેવામાં મનીષ પાંડે અને શ્રેયસ ઐયરમાંથી કોઈ એકને તક મળી શકે છે. પાંડે ત્રણેય ટી-20 રમ્યો હતો, જયારે ઐયરને તક મળી નથી. પાંડેએ ટી-20માં એટલા પ્રભાવિત ન કર્યા હોવાથી ઐયરને તક મળવાની સંભાવના વધારે છે.
એક અઠવાડિયામાં ત્રણ ટી-20માં રમ્યા પછી ભુવનેશ્વર કુમારને આરામ આપવામાં આવી શકે છે. તેની જગ્યાએ મોહમ્મદ શમી બોલિંગ એટેકનો લીડર રહી શકે છે. તે ઉપરાંત ટી-20માં તમામને પ્રભાવિત કરનાર નવદીપ સૈની વનડેમાં ડેબ્યુ કરી શકે છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની હાજરીમાં લેગ સ્પિનર કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલમાંથી કોઈ એકને પ્લેઈંગ 11માં સ્થાન મળશે.