નવા ભારતના નિર્માણ માટે ગુજરાતની પ્રજા નેતૃત્વ લે, રાષ્ટ્રને જીવન સમર્પિત કરે: રૂપાણી

ગુજરાત મુખ્ય સમાચાર

નવા ભારતના નિર્માણમાં દરેક ગુજરાતીઓને લીડ લેવા આવાહન કરવાની સાથોસાથ જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓને તેમના સામર્થ્યથી શાનદાર-જાનદાર ગુજરાતનું નિર્માણ કરવા જણાવ્યુ હતું. તેની સાથે જ નવા ભારતનું નિર્માણ કરવા માટે દેશ માટે જીવવાની ભાવનાને આત્મસાત કરવાનો કોલ તેમણે આપ્યો હતો. ક્ષણ-ક્ષણ રાષ્ટ્રના ઉત્થાનની સમર્પિત કરવા લોકોને જણાવ્યું હતું.

૭૩માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ગુજરાતની ધરતીના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. સરદાર પટેલે રજવાડાંઓને એક કરીને ભારતને એક રાષ્ટ્ર બનાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો.

પરંતુ ત્યારબાદ કલમ ૩૭૦ અને ૩૫-એને કારણે ભારતથી અલગ પડી ગયેલા કાશ્મીરને ભારત સાથે એકાકાર કરવાની દિશામાં મહત્વનુ પગલું લઈને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એક રાષ્ટ્રમે દો વિધાન, દો નિશાન અને દો પ્રધાન નહિ ચલેગાના નારા સાથે શહાદત વહોરી લેનારા શ્યામા પ્રસાદ મુખરજીના વિધાનને સાકાર કરી દેખાડયું છે. તેમના બલિદાનને એળે જવા દીધું નથી.

તેમણે કહ્યું હતું કે સાત દાયકાયમાં ૪૧૦૦૦થી વધુ લોકોના જીવ ભરખી જનાર કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ દૂર કરીને ખરા અર્થમાં આઝાદીનો અહેસાસ કરાવ્યો છે. આ માત્ર કાશ્મીરનું જ નહિ, ખરા અર્થમાં સમગ્ર રાષ્ટ્રનું આઝાદી પર્વ બની રહ્યું છે. માત્ર સરકાર ચલાવવા કે સત્તામાં ટકી રહેવા માટે શાસન કરવાનો યુગ સમાપ્ત થયો છે. હવે ખરાઅર્થમાં વિકાસની દિશામાં આપણે અગ્રેસર થઈ રહ્યા છીએ.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૭૩માં આઝાદી પર્વ નિમિત્તે ગુજરાતની પ્રજાને શુભકામના પાઠવી છે. આ પ્રસંગે દેશના મહાન વીર નાયકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતાનું રાષ્ટ્રીય પર્વ આપણને મહાન સ્વાતંત્ર્ય વીરોના અસીમ રાષ્ટ્રપ્રેમ, અપ્રતીમ શૌર્ય અને બલિદાનોની ગાથાનું સ્મરણ કરાવે છે. તેની સાથે જ મહામૂલી આઝાદીના જતન વચ્ચે વધુ પ્રતિબદ્ધ બનવાની પ્રેરણાં આપે છે.