તાપી જિલ્લામાં સંતોષકારક વરસાદથી ચેક્ડેમ-તળાવો પાણીથી છલકાયા

ગુજરાત

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની વર્તમાન સરકારે રાજ્યમાં કૃષિ અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુણાત્મક પરિવર્તન લાવી રાજ્યને સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃધ્ધિ તરફ લઈ જવા માટે નવતર યોજનાઓ શરૂ કરી છે. જેના ભાગ રૂપે ગત વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં સૌથી મોટુ જળસંચય અભિયાન ઉપાડ્યુ હતુ. તાપી જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ હયાત તળાવોને ઉંડા કરીને મોટા પાયે જળસંચયની કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત તાપી જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિકતાને લીધે ડુંગરાળ તેમજ ઉંચા-નીચા વિસ્તારો હોવાથી મોટા ભાગનું વરસાદી પાણી નદી કોતરો મારફત વહી જતા દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભૂગર્ભના તળ ખૂબજ નીચા ઉતરી જતા સમગ્ર જિલ્લામાં પીવાના તથા સિંચાઈ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાતી હતી.

આ સમસ્યાના કાયમી નિરાકરણ કરી બાહુલ્ય આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં નકામાં વહી જતા વરસાદી પાણીનો સુયોગ્ય રીતે સંગ્રહ થઈ શકે અને લોકોના ઘર આંગણે જમીનમાં પાણીના તળ ઉંચા આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન હાથ ધરી સુજલામ સુફલામ યોજના હેઠળ ૨૭.૫૦ મિલીયન ઘન ફૂટ જળસંગ્રહ શક્તિ ધરાવતા ૮૧ જેટલા તળાવો બનાવાયા હતા. જિલ્લામાં આ ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ થતાં તમામ તળાવો પારસમણિરૂપ પાણીથી છલોછલ થઈ ગયા છે. જેનો લાભ નાગરિકોને મળશે. દર વર્ષે ઉનાળાની શરૂઆતથી જ પીવાના અને સિંચાઈના પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલ તાપી જિલ્લામાં ચોક્ક્સપણે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા દુર થશે.