આંધ્ર પ્રદેશઃ ગોદાવરી નદીમાં પ્રવાસી નૌકા પલટી જતા 12ના મોત, 10 લાખના વળતરનુ એલાન

મુખ્ય સમાચાર

આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદીમાં એક પ્રવાસી નૌકા પલટી જતા લગભગ 12 લોકોના મોત નીપજ્યા છે. પોલિસ સૂત્રો મુજબ લગભગ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નૌકામાં 61 લોકો સવાર હતા. 30 સભ્યોની એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જિલ્લાના બધા મંત્રીઓને ઘટના સ્થળે બચાવ કાર્યોની દેખરેખ કરવાનો આદેશ આપી દીધો હતો. સાથે જ તેમણે અધિકારીઓને આ વિસ્તારમાં બધા નૌકા વિહાર સેવાઓને તાત્કાલિક બંધ કરવાના પણ નિર્દેશ આપી દીધા.

એક હેલીકોપ્ટરને પણ રવાના કરવામાં આવ્યુ. ઘટનાથી દુઃખી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ મૃતકના પરિવાર માટે 10 લાખ રૂપિયાના વળતરની રકમની પણ ઘોષણા કરી છે. આ સાથે જ તેમણે મંત્રીઓ અને અધિકારીઓને ઘટના વિશે પળ પળની અપડેટ લેતા રહેવા માટે પણ નિર્દેશ આપ્યા છે.

છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના કારણે એક વાર ફરીથી ગોદાવરી નદીમાં પૂર આવેલુ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે સ્થાનિક મંત્રીઓ અને ધારાસભ્યોને નિર્દેશ આપ્યા છે કે તે રાહત અને બચાવ કાર્યોની દેખરેખ રાખે. આંધ્ર પ્રદેશ ટુરિઝમ ડિપાર્ટમેન્ટની બે નૌકાને પણ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગોદાવરી નદીમાં ચાલી રહેલ બધી નૌકાને કેન્સલ કરવાના આદેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને કહ્યુ કે તે નદીમાં ચાલી રહેલ બધી નૌકાઓની ઉંડી તપાસ કરાવે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમાં રવિવારે થયેલ એક ભયાનક નૌકા દૂર્ઘટના પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ નૌકા દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કરીને કહ્યુ, આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીમાં એક નૌકા પલટી જવાની દૂર્ઘટનાથી ખૂબ દુઃખી છુ. પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. લોકોને બચાવવા માટે રાહત અભિયાન ચલાવાઈ રહ્યુ છે. આ તરફ રાજ્યના મુખ્ય સચિવ એલ બી સુબ્રમણ્યમે પૂર્વૂ ગોદાવરીના જિલ્લા કલેક્ટર મુરલીધર રેડ્ડી સાથે વાત કરી અને ઘટના વિશે માહિતી લીધી. સાથે મુખ્ય સચિવ નિર્દેશ પણ આપ્યો કે નૌકા દૂર્ઘટનાથી અસરગ્રસ્ત લોકોની શોધ માટે હેલીકોપ્ટરની મદદ લેવામાં આવે.