આજી GIDCમાં આવેલી નેપ્થા કેમિકલની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગને ફાયરબ્રિગેડે આખરે ત્રણ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી છે. ગુરુવારે બપોરે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં શૈલેષ ખોખર, શૈલેષ મેર તેમજ ચીફ ફાયર ઓફિસર બી જે ઠેબા સહિત કુલ 7 લોકો દાઝ્યા હતા. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાજકોટ ફાયરે આગની તીવ્રતા જોતાં બ્રિગેડકોલ આપ્યો હતો અને આખા વિસ્તારને ખાલી કરાવ્યો હતો.
ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા
પ્રાપ્ત વિગત અનુસાર આજી જીઆઈડીસીમાં એક કલર કંપનીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી છે. આગ એટલી વિશાળ છે કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળ્યા હતા. આગમાં ફાયરબ્રિગેડના બે કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આગને બુઝાવવા માટે આઠ જેટલા ફાયર બંબાઓ આજી જીઆઈડીસી ખાતે ધસી ગયા હતા. આ આગ કોઈ બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવ્યા હતા.
બ્રિગેડ કોલ એટલે શું?
ફાયર ડિપાર્ટમેન્ટ એટલે કે અગ્નિશમન દળ દ્વારા જ્યારે પણ આગ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે અથવા તેવી દહેશત જણાય એટલે બ્રિગેડ કોલ જાહેર કરે છે. બ્રિગેડ કોલ જાહેર કરવાની સત્તા માત્ર જે-તે વિભાગના ચીફ ફાયર ઓફિસરની હોય છે. બ્રિગેડ કોલ આપવાનો મતલબ એવો થયો કે જે-તે વિભાગના તમામ ફાયર ફાઈટર્સ અને લાશ્કરો (ફાયરમેન)ને જે સ્થળે આગ લાગી હોય ત્યાં ત્વરિત પહોંચી જવાનો હુકમ કરાય છે. એટલું જ નહીં, સરકારી કે મ્યુનિ.ના તાબા હેઠળના તમામ ફાયર ફાઈટર્સ ઉપરાંત કોઈ પણ ખાનગી સંસ્થા કે એકમ પાસે પોતાના ફાયર ફાઈટર્સ હોય તો તેને પણ બ્રિગેડ કોલની સ્થિતિમાં આગ લાગી હોય તે સ્થળે તાત્કાલિક પહોંચી જવા આદેશ કરાય છે.
નેપ્થામાં આગ લાગી હોવાને કારણે ઓલવવામાં મુશ્કેલી
કેમિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નેપ્થા અત્યંત જ્વલનશીલ રસાયણ છે. નેપ્થામાં આગ લાગે ત્યારે તેને ઓલવવી ખૂબ મુશ્કેલ બની જાય છે. રાજકોટમાં આજી જીઆઈડીસીમાં જે વિકરાળ આગ લાગી છે તે નેપ્થામાં લાગી છે. નેપ્થામાં આગ લાગે ત્યારે તેને ઓલવવા માટે સતત ફોમનો મારો ચલાવવો પડે છે અને આગ પૂરેપૂરી ઓલવવી પડે. આ સ્થિતિમાં રાજકોટ ફાયરબ્રિગેડ માટે આ આગને ઓલવવાનું મુશ્કેલ બન્યું હતું. આ ઉપરાંત આગ લાગી હતી તે ફેક્ટરી પાસે ડીઝલ ભરેલું ટેન્કર હતું જે પણ અગનજ્વાળામાં લપેટાયું હતું. આ કારણે સ્થિતિ વધુ વિકટ બની હતી.
આજુબાજુના ગોદામો ખાલી કરાવાયા, ટ્રાફિક ડાઈવર્ટ કરાયો
આજી જીઆઈડીસીમાં જે ગોદામમાં નેપ્થાના જથ્થામાં આગ લાગી છે ત્યાં સ્થિતિ વધુ વિકટ બની શકે તેમ હતું. આ જોખમને જોતાં ફાયર અને પોલીસ વિભાગે આજુબાજુના ગોદામોને ખાલી કરવા તાકીદ કરી હતી. પોલીસ વિભાગ પણ ખડેપગે છે અને આજુબાજુના ગોદામોમાંથી કામદારો તથા લોકોને દૂર હટાવાયા હતા. તદુપરાંત આગ જોવા વધુ ભીડ એકઠી ન થાય તે માટે પોલીસ પણ વ્યવસ્થા જાળવી હતી. આ આગને કારણે ટ્રાફિકને પણ ડાઈવર્ટ કરાયો હતો જેથી નવો ટ્રાફિક આગ લાગી છે તે વિસ્તારમાં પ્રવેશે નહીં અને ફાયરના વાહનોની અવર-જવરમાં સરળતા રહે.
નેપ્થાને 5 મિનિટમાં કંટ્રોલ ન કરો તો સળગવા દેવું પડેઃ દસ્તુર
અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે DIVYABHASKAR સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નેપ્થા એવું કેમિકલ છે કે તેમાં આગ લાગે તો પહેલી 5 મિનિટમાં જ કંટ્રોલ કરવું પડે. આ 5 મિનિટમાં એક વાર તેનું તાપમાન 20 ડિગ્રીથી ઉપર જતું રહે તો પછી તેને પૂરેપૂરા જથ્થામાં સળગવા જ દેવું પડે અને તે સિવાય કોઈ આરો નથી. અથવા તો તે નેપ્થાના જથ્થા પર ફોમનો મારો ચલાવીને તેને કૂડ ડાઉન કરવું પડે. રાજકોટમાં જે આગ લાગી છે તેને ઓલવતા રાત પડી જાય તેવી શક્યતા રહેલી છે.

