રાજ્યમાં ગુટખા અને પાન મસાલા મામલે ઉત્તરાખંડની સરકારે મહત્વનો નિર્ણય લેતા તેની પર પ્રતિબંધ લાદ્યો છે. ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાદ્યો છે.
ઉત્તરાખંડના ખાદ્ય સુરક્ષા અધિકારી નિતેશ કુમાર ઝા દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય તંબાકૂ અને નિકોટીનયુક્ત ગુટખા અને પાન મસાલા જેવા પદાર્થોની માનવ શરીર-સ્વાસ્થ પર થતી પ્રતિકૂળ અસરોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. જે હેઠળ આ પ્રકારના તમામ ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લાદવામાં આવે છે.
જો કે જાણકારી મુજબ રાજ્યમાં ગુટખા, પાન મસાલા અને અન્ય નામો હેઠળ તંબાકૂ પદાર્થો વેચવાનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાનો ખુલાસો થયો હતો.
સરકાર દ્વારા જારી આદેશમાં પ્રતિબંધોના કારણોને વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય ખાદ્ય સુરક્ષા સંસ્થા દ્વારા કોઇપણ ખાદ્ય ઉત્પાદનોમાં સંઘટકો તરીકે તંબાકૂ અને નિકોટીનનો ઉપયોગ પ્રતિબંધિત છે, છતાં ગુટખા અને પાન મસાલા જેવા પદાર્થોમાં આ ઘટકો ઉપયોગમાં લેવાય છે. જેથી જન સ્વાસ્થ સંદર્ભે આ પ્રકારના પદાર્થો અને તેના ઉત્પાદન પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

