PMC કૌભાંડના પીડિત ગ્રાહકો પૈકી પાંચમાં ખાતાધારકનું મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પીએમસી બેન્કના કૌભાંડના પીડિત ગ્રાહકો પૈકી તેના પાંચમા ખાતાધારકનું મોત નીપજ્યું છે. આ સિવાય બેન્કમાં કૌભાંડના કારણે RBIએ લાદેલા પ્રતિબંધોના વિરોધમાં દક્ષિણ મુંબઇમાં સ્થિત RBIના હેડઓફિસ સામે પીડિત ગ્રાહકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે દરમિયાન એક વૃદ્ધ મહિલા અને પુરુષની તબિયત લથડી હતી. પીએમસી બેન્ક કૌભાંડના પીડિતો બેન્કમાં જમા તેમના પૂંજીને પાછી આપવા માટે માંગ કરી રહ્યા હતા.

પીએમસીની હાલની પરિસ્થિતિ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે રાજ્ય સરકારની કોઇ બેન્કમાં તેનુ વિલીનીકરણ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

મૃતક પીડિત અને વૃદ્ધ રામ અરોડા પીએમસી બેન્કમાં ખાતુ ધરાવતા હતા. તેમનું મોત શનિવારના રોજ તેમના ઘરે જ થયું હતું, જો કે આ મામલે તેમના પરિવારજનોનું કહેવું હતું કે, તેમની મોત કુદરતી મોત હતું અને બેન્કના કૌભાંડમાં ફસાયેલા તેમના નાણા સાથે તેમની મોતનું કંઇ લેવા-દેવા નથી. રામ અરોડા બેન્કમાં ફસાયેલા નાણા પર નિર્ભર ન હતા. આ પહેલા ચાર લોકો મૃત્યુ પામ્યા હતા જેમાંથી ત્રણ લોકો બીમારીમાં સારવાર દરમિયાન પૈસા ન લઇ શકવાના કારણે અકાળે મૃત્યુ પામ્યા હતા અને એક મહિલાએ હતાશ થઇને જીવન ટૂંકાવ્યું હતું.

RBIવિરુદ્ધ પ્રદર્શન દરમિયાન તબિયત બગડતા બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન પોલીસે પરિસ્થિતિ સંભાળતા સમગ્ર પ્રદર્શન વિસ્તાર અંકુશમાં લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, 4355 કરોડ રુપિયાના કૌભાંડનો ખુલાસો થતા આરબીઆઇએ સૌપ્રથમ છ મહિના સુધી બેન્કમાંથી એક હજાર રુપિયાથી વધારે રોકડ ન ઉપાડી શકવાના પ્રતિબંધ લાદ્યા હતા. જે પછી ઉપાડની રકમ વધારી 10 હજાર અને પાછળથી 40 હજાર કરી દેવામાં આવી હતી.