ગાંધીનગર સ્થિત અક્ષરધામ 10,001 દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું

ગુજરાત મુખ્ય સમાચાર

શનિવારના રોજ સંધ્યા સમયે ગાંધીનગર સ્થિત અક્ષરધામ દસ હજાર દીવડાઓની ભવ્ય રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. દરવર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર અક્ષરધામ ખાતે ભવ્ય રોશની કરવામાં આવી છે છે. દિવાળીના દિવસથી સતત આઠ દિવસ સુધી દસ હજાર દીવડા ઝગમગશે અને જાહેર જનતા પણ આ ભવ્ય રોશનીના દર્શન સાંજે ૬થી રાત્રે ૭-૪૫ સુધી કરી શકશે.

ગાંધીનગર ખાતેનું સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર દર સોમવારે બંધ રહેતુ હોય છે, પરંતુ આ વખતે બેસતુ વર્ષ સોમવારે હોવાથી દર્શન માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. જ્યારે મહત્વની બીજી વાત એવી છે કે આ વખતે અક્ષરધામ મંદિર દિવાળીના દિવસથી ૮ દિવસ સુધી ૧૦ હજાર દિવડા ઝગમગશે. દિવડાની રોશનીનો અદભૂત નજારો તા.૨૮મી ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી સાંજે ૬થી રાત્રે ૭-૪૫ સુધી નિહાળવાનો લ્હાવો મળશે. દિવાળીના તહેવારોમાં અક્ષરધામ પ્રતિ વર્ષે હજ્જારો દિવડાથી શણગારવામાં આવે છે.

આ વખતે પણ ૧૦ હજાર દિવડાની રોશની કરવા માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. જે તા.૨૮મી ઓક્ટોબરને રવિવારે દિવાળીના દિવસથી તા.૩ નવેમ્બરને રવિવાર સુધી ચાલુ રહેશે. દિવડાની રોશનીનો સમય સાંજે ૬થી રાત્રે ૭-૪૫ સુધીનો રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ઝગમગતા અક્ષરધામને નિહાળવાનો અનેરો લ્હાવો મળશે.

દિવાળીના વેકેશન દરમિયાન ગાંધીનગરના અક્ષરધામની મુલાકાતે અને દર્શનાર્થે હજારો ભક્તો અને પ્રવાસીઓ પ્રતિ વર્ષ આવતા હોય છે. તેનાં કારણે મુલાકાતીઓની સંખ્યામાં અનેકગણો વધારો અવિરત થઇ રહ્યો છે. સ્કૂલોમાં વેકેશન પડતાં જ સેંકડો પ્રવાસીઓ અક્ષરધામની મુલાકાત લઇ ભગવાનના દર્શન સાથે પ્રદર્શન નિહાળવાનો લાભ લઇ રહ્યાં છે. દિવાળીના તહેવારોમાં ૮ દિવસ સુધી રોજ સાંજે હજ્જારો દિવડાથી ઝગમગતા અક્ષરધામ મંદિરનો નજારો કંઇક અદભૂત હોય છે. અક્ષરધામના સૂત્રોએ જણાવ્યું હતું, કે સામાન્ય દિવસોમાં રોજ અક્ષરધામની મુલાકાત લેનારા પ્રાવસીઓની સંખ્યા અંદાજે ૪ હજાર જેટલી હોય છે. જ્યારે દિવાળીના તહેવારો અને વેકેશનનાં કારણે પ્રવાસીઓ અને મુલાકાતીઓની સંખ્યા રોજ ૮થી ૧૦ હજાર જેટલી પહોંચી જાય છે. દિવાળીનાં દિવસોમાં અક્ષરધામનો ટ્રાફિક વધારે પ્રમાણમાં હોવાના કારણે ગાંધીનગર એસ.ટી ડેપો દ્વારા ખાસ બસો મૂકવામાં આવે છે. જ્યારે અમદાવાદ ડેપો દ્વારા પણ અક્ષરધામ જનારા દર્શનાર્થીઓ માટે વધારાની બસો દોડાવાય છે.