ગુજરાત પર હવે ‘મહા’ વાવાઝોડાનો ખતરો લગભગ ટળી ગયો છે. વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધશે તેમ-તેમ તે નબળું પડી જશે.
‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે પહોંચશે ત્યાં સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે કે તે વાવાઝોડાની સ્થિતિ રહેશે નહીં.
ગુજરાતના હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, “આજે સવારે કરેલા નિરીક્ષણ પ્રમાણે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમિટર દૂર છે અને વેરાવળથી 440 કિલોમિટર દૂર છે.”
તેમણે કહ્યું, “તે પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અને ધીમે-ધીમે વાવાઝોડું નબળું પડી જશે. આ વાવાઝોડું ગુરુવારે વહેલી સવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી નહીં પહોંચે. “
“ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડું દીવથી આશરે 40 કિલોમિટર દૂર હશે એવી શક્યતા છે.”
વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા નથી છતાં હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે.
જયંતા સરકારનું કહેવું છે કે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને ભાવનગર ભારેથી અતિભારે વરસાદની તથા સુરત, ભરુચ અને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે.
તેમણે જણાવ્યું, “પવનની ગતિ ઘટી જવાની શક્યતા છે જેથી ખતરો ઘટી જશે, 65-70 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.”
ગુજરાત સરકાર અને તંત્રએ વાવાઝોડાને જોતાં તૈયારીઓ આરંભી દીધી હતી. ગુજરાતમાં અનેક જગ્યાએ લોકોને માહિતી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.
રાજ્યમાં 35 એનડીઆરએફની ટીમો ઉતારી દેવામાં આવી છે. જેથી બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે.
વાવાઝોડું કેમ નબળું પડી રહ્યું છે?
આ પહેલાં ‘મહા’ વાવાઝોડું ગુજરાત પર ભીષણ ચક્રવાતના રૂપમાં ત્રાટકે તેવી સંભાવના હતી. જોકે, આગળ વધતાની સાથે જ તે નબળું પડી ગયું છે.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ અનુસાર અરબ સાગરની સપાટીનું તાપમાન વધારે હતું જેથી વાવાઝોડું વધારે ભીષણ બન્યું હતું.
હવે જેમ જેમ ગુજરાત તરફ આગળ વધશે તેમ સમુદ્રની સપાટીનું તાપમાન ઘટશે તેથી વાવાઝોડાની તીવ્રતા ઘટશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર સમુદ્રની સપાટીનું તાપમાન 29થી 30 સેલ્સિયસ ડિગ્રી હતું જે હવે 27 સેલ્સિયસ થઈ જશે અને વાવાઝોડું આગળ વધશે તેમ તાપમાન હજી પણ નીચું જશે.
જેથી વાવાઝોડું ડીપ ડિપ્રેશન અને અંતે ડિપ્રેશન એટલે કે હવાના દબાણમાં ફેરવાઈ જશે અને મધ્યપ્રદેશ તરફ આગળ વધી જશે.
આ ઉપરાંત વર્ટિકલ વિન્ડ શિયર જે 5થી 10 નોટ હતો તે હવે 25થી 30 નોટ થઈ ગયો છે. જે વાવાઝોડાને કમજોર કરી રહ્યો છે.
તે સિવાય પશ્ચિમ દિશામાંથી એટલે કે અરબના દેશો તરફથી જે સૂકા પવનો આવી રહ્યા છે તે પણ વાવાઝોડને નબળું પાડવામાં મદદ કરી રહ્યા છે.
ગુજરાતના કાંઠે ના પણ ટકરાય
મહા વાવાઝોડું જે રીતે નબળું પડી રહ્યું છે તેને જોતાં તે ગુજરાતના કિનારે ના ટકરાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ વાવાઝોડું 7 નવેમ્બરની વહેલી સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તે બાદ તે 7 નવેમ્બરના સાંજે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. 8 નવેમ્બરના રોજ ડિપ્રેશન વિખેરાઈ જશે.
સ્કાયમેટના જણાવ્યા અનુસાર વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે પહોંચે તે પહેલા જ વિખેરાઈ જાય તેવી પણ સંભાવના છે. એટલે કે ગુજરાત પર તે ત્રાટકે તેવી સંભાવના ઓછી છે.
અહેવાલ પ્રમાણે તે સાઉથ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તે પહેલાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે.
જોકે, ‘મહા’ના વિસ્તારમાં આવતા જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમાનાથ, ભાવનગર, અમરેલી અને સુરતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. જોકે, હવે ગભરાવાની જરૂરિયાત નથી પરંતું લોકોને આવનારા બે દિવસમાં સાવચેત રહેવું જરૂરી છે.
ડીપ ડિપ્રેશન જે વિસ્તારોમાંથી પસાર થશે તે વિસ્તારોમાં પ્રતિ કલાક 40થી 50 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 70 કિમી સુધી પહોંચે તેવી પણ શક્યતા છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આવાનારા બે દિવસોમાં હળવો વરસાદ થઈ શકે છે ઉપરાંત થોડા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે.
ખેડૂતો માટે હજી પણ ચિંતા
ગુજરાતમાં ચોમાસુ પાક તૈયાર થવાનો આ સમય છે, હાલમાં ગુજરાતમાં મગફળી, અડદ, ડાંગર, કઠોળ જેવા પાકો તૈયાર થઈ ગયા છે.
આ સમયે જ હાલ વરસાદનું વાતાવરણ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી પણ ચૂક્યો છે. જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક બગડી રહ્યો છે.
‘મહા’ વાવાઝોડાને કારણે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને તેના લીધે ખેડૂતોને વધારે નુકસાન જવાની ભીતિ છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના જિલ્લા જેવા કે પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત કચ્છ, જામનગર, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, વડોદરા વગેરે જિલ્લાઓમાં પણ મધ્યમથી હળવો વરસાદ થવાની સંભાવના છે.
બાકીના વિસ્તારોમાં ક્યાંક છુટોછવાયો હળવો વરસાદ થાય તેવી શક્યતા છે.
એક બાદ એક વાવાઝોડાં કેમ?
અરબ સાગરમાં હાલમાં જ ઉપરાઉપર બે વાવાઝોડાં, ‘ક્યાર’ અને ત્યાર બાદ ‘મહા’, સર્જાયાં અને બંનેએ અતિ ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લીધું હતું.
અરબ સાગરમાં એક બાદ એક તુરંત વાવાઝોડાં સર્જાવા એ ભાગ્યે જ બનતી ઘટના છે. આવું નજીકના સમયમાં જોવા મળ્યું નથી.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ક્લાઇમેટ ચેન્જને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વભરના હવામાનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ઉપરાંત અરબ સાગરના તાપમાન અને પવનની સ્થિતિમાં ફેરફારને કારણે વાવાઝોડાં વધારે ભીષણ બની રહ્યાં છે.
અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં ઉત્પન્ન થયેલાં વાવાઝોડામાં આ વર્ષમાં ‘મહા’ વાવાઝોડું છઠ્ઠું છે. બંગાળીની ખાડીમાં હજી એક વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે જેનું નામ ‘બુલબુલ’ હશે અને તે આ વર્ષનું સાતમું વાવાઝોડું હશે.

