CBSE બોર્ડ હાથીજણ સ્થિત DPS-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ કરશે, બે દિવસમાં નિર્ણય લેવાશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

નિત્યાનંદ આશ્રમને જમીન લીઝ પર આપવાના વિવાદમાં સપડાયેલી હાથીજણ સ્થિત ડીપીએસ ઈસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવશે. આ અંગે CBSE બોર્ડ બે દિવસમાં નિર્ણય લેશે. મળતી માહિતી મુજબ ચાલુ વર્ષની પરીક્ષા પૂર્ણ થયા બાદ માન્યતા રદનો અમલ થશે. બીજી તરફ સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ, કેલોરેક્સ ફાઉન્ડેશનના મંજૂલા શ્રોફ અને હિતેન વસંત સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિવાકનંદનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે શુક્રવારે મોડી રાતે ફરિયાદ નોંધાવી હતી.

નવ વર્ષ પછી શિક્ષણ વિભાગની આંખો ખૂલી
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સાંજે વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા ત્યારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સમગ્ર ઘટનામાં જે ત્રણ સામે આક્ષેપાત્મક પોલીસ ફરિયાદ છે તેઓ ઊંચી વગના હોવાને કારણે પોલીસ પણ તેમની સામે ફરિયાદ નોંધવામાં પક્ષકાર બનવા માટે તૈયાર ન હતી. જ્યારે ડીઈઓ પણ કોને આરોપી તરીકે દર્શાવવા તે અંગે અસમંજસમાં મૂકાયા હતા. 5 કલાકની લાંબી ચર્ચા ડીઈઓ અને શિક્ષણ વિભાગના સચિવ કક્ષાના અધિકારીઓ વચ્ચે થયા બાદ મોડી રાતે 11 વાગે અનિતા દુઆ, હિતેન વસંત અને મંજૂલા શ્રોફ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો હતો. ખોટી એનઓસીથી ડીપીએસ સ્કૂલને માન્યતા મેળવ્યા બાદ 9 વર્ષ સુધી જૈસે થે ની સ્થિતિમાં સ્કૂલ ચાલી હતી. નિત્યાનંદનો વિવાદ સર્જાતા ડીપીએસ સ્કૂલે માન્યતા જ ખોટી મેળવી હોવાનું સરકારને ખબર પડી હતી. 9 વર્ષથી પોલંપોલ ચાલતી હતી.

જમીનની માલિકી અંગે ખોટી માહિતી આપી
જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ રાજેન્દ્ર વ્યાસે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડીપીએસ-ઈસ્ટ સ્કૂલના તત્કાલીન આચાર્ય અનિત દુઆ (રહે. આરોહી રોટલ બંગલોઝ, બોપલ)એ શિક્ષણ વિભાગના નામે સીબીએસઈ સમક્ષ ખોટી એનઓસી રજૂ કરી હતી. આ બનાવટી એનઓસી રજૂ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. જેમાં 11-9-2009ના રોજ કરેલી દરખાસ્તમાં અંગ્રેજીમાં હિતેન વસંત (ફોર કેલોરેક્સ ફાઉન્ડેશન, ટ્રસ્ટી)એ સહી કરી હતી તેમજ 21-1-2012ની દરખાસ્તમાં અંગ્રેજીમાં (ફોર કેલોરેક્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન, ડાયરેક્ટર)ના સિક્કા પર મંજૂલા એસ. (મંજૂલા શ્રોફે) સહી કરી છેતરપિંડી કરી હતી. સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. આ પછી 2012માં સ્કૂલે ફરીથી શરતી એનઓસી આપવા રજૂઆત કરી હતી પણ સરકારે તે પણ નકારી કાઢી હતી.