શ્રીલંકામાં ગત મહિને થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી હવે ત્યાં માહોલ ખરાબ થવા લાગ્યો છે. શ્રીલંકાના નિગોમ્બો ક્ષેત્રમાં સોમવારે ઇસાઈ અને મુસ્લિમ સમુદાયના બે ગુટ વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે રમખાણ જેવી સ્થિતિ બની હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પરિસ્થિતિ ખરાબ થતા વિસ્તારમાં કફર્યું લગાવી દેવામાં આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયના ઘણા ઘરો, દુકાનો અને વાહનો ઉપર હુમલા કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી શ્રીલંકા તરફથી નુકસાન વિશે કોઈપણ જાણકારી આપવામા આવી નથી.
રમખાણની સ્થિતિ પછી હવે શ્રીલંકાના રોમ કેથોલિક ચર્ચએ લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. સાથે સરકારને કહ્યું છે કે કેટલાક વિસ્તારમાં દારુને બંધ કરવામાં આવે. કોલંબોમા આર્કબિશપ કાર્ડિનલ મેલકોમ રંજીતે કહ્યું હતું કે હું આપણા કેથોલિક અને ઇસાઇ ભાઈઓને અપીલ કરું છું કે તે એકપણ મુસ્લિમને પરેશાન ના કરે, કારણ કે તે આપણા ભાઈ છે. તે આપણી સભ્યતાનો એક ભાગ છે.
એક પોલિસ અધિકારીના મતે રમખાણમાં જે લોકોની સક્રિય ભૂમિકા રહી છે તેમની ઓળખ સીસીટીવી ફૂટેજના આધારે કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં રમખાણના ફુટેજ દેખાડવામાં આવી રહ્યા છે. જેમાં ભીડ મુસ્લિમ સમુદાયના લોકોના ઘર પર પત્થર ફેંકી રહી છે. સાથે તેમના વાહનોને નુકસાન પહોંચાડી રહી છે.
રમખાણના સમાચાર પછી શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે કહ્યું છે કે રાત દરમિયાન જે લોકોના ઘરને નુકસાન પહોંચ્યું છે તેમને સરકાર સહાય આપશે.

