ભગવાન જગન્નાથના રથ નિજ મંદિર પહોંચ્યા, શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન

ગુજરાત મુખ્ય સમાચાર

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે. ૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો. સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે. ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ ગુજરાતીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી. અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવું વર્ષ પણ છે ત્યારે મુખ્યમંત્રીએ તમામ કચ્છી માંડુઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ભગવાનના આર્શિવાદ સદાય ગુજરાતીઓ ઉપર રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી પ્રાર્થન તેમણે કરી નગરજનોને શુભેચ્છા પાઠવી હતી. બીજીતરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ રાજ્યના તમામ નાગરિકોને રથયાત્રાના વધામણા આપ્યા હતા અને રથયાત્રા પૂર્વે અમીછાંટણા થયા છે તેનાથી જગતના તાતને પણ હવે ગભરાવાની જરૂર નથી કારણ કે વરૂણદેવે પણ આર્શિવાદ વરસાવ્યા છે જેથી ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે વરસાદનું પણ આગમન થતા આ વરસે સારો વરસાદ રહેવાનો વર્તારો મળ્યો છે. રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રીએ અષાઢી બીજના કચ્છના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.