વલસાડ, ઉમરગામ અને પાલઘર સુધી 4.4નો ભૂકંપ

ગુજરાત

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 3.1 અને 4.4 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના બે સળંગ આંચકા લાગ્યા હતા. જેની અસર ગુજરાતની સરહદ સાથે જોડાયેલા વલસાડ જિલ્લા સુધી થઇ હતી. શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં વલસાડ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા આવતા દોડધામ મચી હતી. ગુજરાતના ઉમરગામ, ભીલાડ, વલસાડ, વાપી, ધરમપુર કપરાડા, વિસ્તારમાં પણ ભૂકંપના છુટાછવાયા લગભગ 10 સેકન્ડ સુધીના આંચકાથી લોકો ગભરાઇ ગયા હતા.

ભૂકંપના 2 આંચકા 4.4ની તીવ્રતાના  નોંધાયા હતા

જિલ્લા મથક વલસાડમાં શુક્રવારે સવારે 11.15 વાગ્યાના સુમારે વલસાડ શહેરના તિથલ રોડ પર એક બંગલાના બીજા માળે તેમજ મદનવાડમાં એક એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળે ભૂકંપનો હળ‌‌વો આંચકો લાગતા ગભરાટ વ્યાપી ગયો હતો. કપરાડામાં 1 શાળાની દીવાલમાં અને પારડીના રેંટલાવમાં એક મકાનમાં તિરાડ પડી ગઇ હતી. વલસાડમાં કોઇ નુકસાન થયું ન હતું. પાલઘરમાં સવારે 11.08 વાગ્યે 3.1 અને ત્યારબાદ 11.14 વાગ્યે 4.4ની તીવ્રતાના ભૂકંપના 2 આંચકા નોંધાયા હતા.