રાંચીમાં ઓછા દર્શકો મેચ જોવા આવતા કોહલી નારાજ, કહ્યું – ટેસ્ટ ફોર્મેટને જીવંત રાખવા પાંચ ટેસ્ટ સેન્ટર નક્કી કરો

ખેલ-જગત મુખ્ય સમાચાર

વિરાટ કોહલીનું માનવું છે કે ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે પાંચ જગ્યાઓ પર જ ટેસ્ટ મેચ રમવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યા પછી કોહલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટને જીવતું રાખવા માટે આ પગલું લેવું જરૂરી છે. એવી જગ્યાઓ પર મેચ રાખીને કોઈ મતલબ નથી કે જ્યાં લોકો મેચ જોવા આવશે કે નહીં તે નક્કી નથી.

2015થી ભારતીય ક્રિકેટ બોર્ડ રોટેશન પોલિસીનો પ્રયોગ કરે છે અને આખા દેશમાં વિવિધ જગ્યા પર ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમાઈ છે. જોકે તે પહેલા એન શ્રીનિવાસન બીસીસીઆઈના પ્રેસિડેન્ટ હતા ત્યારે મેજર સીટીમાં જ ટેસ્ટ ક્રિકેટ રમાતું હતું. રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટના એક દિવસ પહેલા માત્ર 3 હજાર ટિકિટ વેચાઈ હતી. તેથી લોકોને ટેસ્ટ જોવામાં રસ નથી તે સ્પષ્ટપણે દેખાય ગયું હતું.

કોહલીએ કહ્યું કે, હું પાંચ ટેસ્ટ સેન્ટરના આઈડિયા સાથે સહમત છું. ટેસ્ટ ક્રિકેટને દૂર-દૂર લઇ જવા કરતાં જીવંત રાખવું વધુ જરૂરી છે. વિદેશી ટીમોને પહેલેથી ખબર હોવી જોઈએ કે આગામી ભારત પ્રવાસમાં તેઓ ક્યાં રમવાના છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં નક્કી કરેલી જગ્યાએ જ ટેસ્ટ રમાય છે. અમને વિદેશ પ્રવાસ પહેલા ખબર હોય છે તેમ તેમને પણ ખબર હોવી જોઈએ.