કામરેજમાં રહેતા એક જમીન દલાલ સાથે એક મહારાજે અઢી કરોડનો ચુનો ચોપડી દીધો હતો. જમીન દલાલને એક મહારાજે કહ્યું કે તમારા ઘરમાંથી 36 મણ સોનું નીકળશે, અઢળક ધનની લાલચે જમીન દલાલ મહારાજની વાતોમાં આવી ગયા જેથી વિધિ માટે ચાર મિત્રોએ ભેગા મળીને 2.40 કરોડનું 5 કિલો 200 ગ્રામ સોનાના બિસ્કીટ ગુરૂ મહારાજ અને તેના શિષ્યને આપતા તેઓ લઈને જતાં રહેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ચાર મિત્રો સાથે છેતરપિંડી
કામરેજ સવર્ણભૂમિ સોસાયટીમાં જગદીશ મનજીભાઈ સખવાડા રહે છે જેઓ જમીન દલાલીનુંકામ કરે છે. જગદીશ ચાર માસ અગાઉ સરથાણા જકાતનાકા અવધ વાઈસરોય ખાતે મિત્ર હરેશ પીપીળીયાની ઓફિસમાં અન્ય ચાર મિત્રો રાજેશ પ્રાગજી હીરા, દિપક પરષોતમ બાબરીયા, સંદીપ દેવજી ઈટાળીયા સાથે હતાં. તે સમયે રસિક મકવાણા તેની સાથે એક મહારાજને લઈને આવ્યા હતાં. રસિકે તમામ મિત્રોની સંજય શર્મા ઉર્ફે મહારાજ સાથે ઓળખ કરાવી હતી. સંજય મહારાજે જગદીશના ઘરમાં સોનાના ઘડા દટાયેલા હોવાનું દેખાતું હોવાનું કહ્યું હતું. આ ઘડા કાઢવા વિધી કરવી પડશે તેમ કહેતા તમામ મિત્રો તેની વાતમાં આવી ગયા હતાં.
પહેલી મુલાકાતમાં 80 હજાર આપેલા
તમામ મિત્રો સંજય મહારાની વાતમાં આવી ગયા બાદ સંજય મહારાજે સામાન લાવવાનું લિસ્ટ આપી 80 હજાર રોકડા લઈ લીધા હતાં. બાદમાં ઘરમાં ખાડો ખોદાવીને પૂજા વિધિના નામે એક ફૂટ રૂમમાં ખાડો ખોજાવ્યો હતો. અને પૂજાવિધી કરીને રૂમને તાળું મારી દઈ સંજય મહારાજે તાળુ કોઈને ન ખોલવા સૂચના આપી હતી અને તાળુ ખોલશો તો બરબાદ થઈ જશો તેમ કહ્યું હતું.
દેગડાની વિધિ માટે રૂપિયા પડાવ્યા
પાંચ દેગડા મળ્યા છે તેમાંથી બે દેગડા મારે વિધિ કરવા લઈ જવાના છે બાકીના 3 દેગડા મારે હું કહું પછી તમારે કાઢવાના તેમ કહ્યું હતું. આ જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં સોના અને હીરા માણેક છે જો તમારે મેળવવા હોય તો પાંચ કિલો 200 ગ્રામ સોનું પૂજા વિધિમાં આપવું પડશે તેમ કહેતા તમામ મિભો સંદીપ ઈટાલીયાએ 70 લાખ, મયુરે 68 લાખ, સંજયે 55 અને જગદીશે 3.50 લાખ મળીને કુલ 2.40 કરોડ ભેગા કરીને સંજય સોનીને આપીને પાંચ કિલો અને 200ગ્રામ સોનાની બિસ્કીટ લઈ જગદીશને આપેલું હતું. જે લઈને અંકલેશ્વર જવા માટે મહારાજ નીકળ્યા હતા 18-10-2019ના રોજ બાદમાં તેના ફોન બંધ આવવા લાગ્યા હતાં. છેતરાયાના અહેસાસ સાથે રૂમ ખોલી તો ખાડામાંથી સાપ નીકળ્યો હતો. આ અંગે મિત્રોએ કામરેજ પોલીસનો સંપર્ક કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાપી નદી પર વિધિના નામે 36 તોલા સોનું પડાવેલું
મહારાજે કહ્યું કે 36 મણ સોનું કાઢવા માટે ઘરમાં હવનની વિધિ કરવી પડશે, આ વિધિમાં તમારે 36 તોલા સોનું ચડાવવું પડશે. જમીન દલાલને થયું કે જો 36 મણ સોનું મળવાનું હોય તો 36 તોલા સોનું ચડાવવામાં કાઇ વાંધો નહીં. આથી તેણે જેમ મહારાજે કહ્યું તેમ કર્યું, તાપી નદીના કિનારે વિધિના નામે પણ 36 તોલા સોનું લેવાયું હતું.

