ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ જતાની સાથે જ ભારતનું ચંદ્ર પર પહોંચવાનું સપનુ પાછું ધકેલાયું હતું. પરંતુ ઇસરોના ચીફ જે સિવને તાજેતરમાં જ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, ચંદ્રયાન-2 મિશનનો અંત થયો નથી. અભિયાનને લઇને ભવિષ્યમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં સોફ્ટ લેન્ડિંગ કરાવવાના પૂરેપુરા પ્રયત્ન કરવામાં આવશે.
ઇસરો ચીફે આ સ્પષ્ટતા દિલ્હીમાં સ્થિત આઇઆઇટીમાં આયોજીત એક કાર્યક્રમમાં જણાવી હતી, જે ઇસરોના ગોલ્ડન જ્યુબલી પર આયોજીત કરવામાં આવ્યો હતો.
આ અંગેની જાણકારી આપતા ઇસરો ચીફે જણાવ્યું કે આવનારા સમયમાં ઇસરો તરફથી કેટલાક એડવાન્સ સેટેલાઇટને પ્રક્ષેપણ કરવાના પ્રોજક્ટ છે. જેમાં ઇસરોનું સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) આ વર્ષના ડિસેમ્બર અથવા આવતા વર્ષના જાન્યુઆરીમાં ઉડાન ભરશે. હાલમાં સંસ્થા આ પ્રોજેક્ટ પર કાર્યરત છે. તેમણે જણાવ્યું કે ચંદ્રયાન-2 મિશન સાથે જોડાયેલા ખૂબ જ મહત્વની માહિતી ઇસરો પાસે છે. હું આપ સૌને વિશ્વાસ અપાવું છું કે, ઇસરો તેના અનુભવ અને ટેકનીકના આધારે ચંદ્રયાનની સોફ્ટ લેન્ડિંગ કરાવવાના પૂરા પ્રયત્ન કરશે.
અન્ય મહત્વના પ્રોજેક્ટની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ઇસરોના આદિત્ય L1 સોલર મિશન અને માનવ અવકાશ ઉડાનના પ્રોજેક્ટ પર સંસ્થા સતત કામ કરી રહી છે. આ બંને પ્રોજેક્ટ ટ્રેક પર છે.

